Surat : શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી માટે બંધ કરાયેલા રૂટોને પગલે શહેરીજનોને ભારે હાલાકી
મેટ્રો ટ્રેનના રૂટ પર થઇ રહેલ કામગીરીના કારણે શહેરના મેટ્રો રૂટ ધરાવતાં રસ્તાઓ પર ખોદકામ , બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ હોવાથી ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અને લોકોને મુશ્કેલી પડી રહી છે .
Surat : શહેરના મેટ્રો રૂટમાં આવતાં 6 રોડ હાલ આંશિક ધોરણે બંધ કરવામાં આવ્યા છે. અને નજીકના દિવસોમાં ચોક , મસ્કતિ અને એન્ડ્રૂઝ લાઇબ્રેરીવાળા રસ્તાઓ સંપૂર્ણ બંધ કરવામાં આવશે. લોકોને જાણ થાય તે માટે બેનરની સાથે ઓડિયો સીસ્ટમ પણ મૂકવામાં આવશે.
શહેરમાં બે રૂટો પર સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની (Metro Rail Project) કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. અને પ્રોજેક્ટની થઇ રહેલ કામગીરીને ધ્યાને લેતાં 2024 ના અંત સુધીમાં બે પૈકી એક રૂટ પર મેટ્રો ટ્રેન દોડતી થઇ જાય તેવી શક્યતા હાલ નજરે પડી રહી છે . મેટ્રો ટ્રેનના રૂટ પર થઇ રહેલ કામગીરીના કારણે શહેરના મેટ્રો રૂટ ધરાવતાં રસ્તાઓ પર ખોદકામ , બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ હોવાથી ટ્રાફિકને ડાયવર્ઝન (Traffic diversion)આપવામાં આવ્યું છે. અને લોકોને મુશ્કેલી પડી રહી છે .
આ અંગે ઘણી ફરિયાદો ઉઠતાં મનપા ખાતે જીએમઆરસીના અધિકારીઓ , મનપા કમિશનર , ટોરન્ટ પાવર કંપની , ટ્રાફિક પોલીસના અધિકારી તથા સ્થાયી સમિતિના અધ્યક્ષ વચ્ચે સંયુક્ત મીટિંગ યોજાઇ હતી. અને શહેરીજનોને કઇ રીતે ઓછામાં ઓછી તકલીફ થાય તે રીતે મનપા કમિશનર પાનીએ જણાવ્યું કે , મેટ્રો રૂટ પર થઇ રહેલ કામગીરીને કારણે હાલ 6 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. અને આ રસ્તાઓ પણ આંશિક રીતે બંધ કરવામાં આવી રહ્યા છે.
હવેથી જે રૂટ પર સાધન , મશીનરી અને મેનપાવર કામે લાગવાના હોય તેના આગલી રાત્રે જ તે રૂટ બંધ કરવામાં આવશે. કારણ કે , કામગીરી શરૂ થયાના બે-ત્રણ દિવસ અગાઉથી બેરીકેડ લગાવી દેવાથી લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમજ જે રસ્તાઓ આગામી દિવસોમાં બંધ થવાના હશે તે રસ્તાઓ પર મોટા બેનરો પ્રદર્શિત કરી લોકોને અગાઉથી જાણ કરવામાં આવશે કે આ રૂટ આગામી બે – ત્રણ દિવસમાં બંધ કરાશે તથા ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવશે.
જેથી આ રૂટનો ઉપયોગ કરનાર લોકોને અગાઉથી જ આ અંગેની જાણ થઇ શકે અને મુશ્કેલીમાં ઘટાડો કરી શકાય. મેટ્રો માટે આવનારા દિવસોમાં ચોક , મસ્કતિ અને એન્ડ્રુઝ લાઇબ્રેરીના રસ્તાઓ પણ સંપૂર્ણ બંધ કરવામાં આવશે. જેથી તાકીદે અહી ડાયવર્ઝનના બેનરો લગાવી દેવાશે . તેમજ બંધ થનારા રૂટ પાસે ઓડિયો સીસ્ટમ પણ મુકવામાં આવે કે જેથી લોકો ઓડિયો સાંભળીને પણ ડાયવર્ઝન રૂટ પર જઇ શકે.
આ પણ વાંચો : મારી અને વિજય રૂપાણી વચ્ચે મતભેદ હોઇ શકે, મનભેદ નથી : ગોવિંદ પટેલ