Surat: સુરતનો સંદીપ બન્યો અલીશા, સર્જરી કરાવીને યુવકમાંથી બન્યો યુવતી
પુરુષમાંથી સ્ત્રી બનવાની ઈચ્છા રાખવી કંઈ ખોટું નથી. જાતિ પરિવર્તનના કાયદાને મંજૂરી ભલે કાગળ પર મળી છે. પરંતુ લોકો અને સમાજ અમને સ્વીકારે એ પણ જરૂરી છે : અલીશા
સુરતના(surat) સંદીપને નાની ઉંમરથી જ છોકરીઓ સાથે રમવાનું તેમની જેમ રહેવાનું વધારે પસંદ હતું.નાની ઉંમરના છોકરાઓને જ્યાં કાર કે બાઈક જેવા રમકડાં પસંદ હોય છે ત્યાં સંદીપને નાનપણથી ઢીંગલીઓ સાથે રમવાનો શોખ હતો. જોકે પરિવારમાં અને સમાજમાં આ બાબતને સ્વીકૃતિ ઘણા ઓછા લોકો આપે છે. ખુબ ઓછા વ્યક્તિઓ એવા હશે જે આ માનસિક સ્થિતિમાંથી પસાર થતા વ્યક્તિઓની વાત સમજવા માટે તૈયાર હોય.
પણ સુરતના સંદીપે નક્કી કર્યું હતું કે તે આ બાબતે કોઈપણ માનસિક હતાશામાં કે સમાજની શરમમાં આવીને ચૂપ નહિ બેસે તે જેવો છે એવો જ સમાજની સામે રહીને બતાવશે. અને 39 વર્ષની ઉંમર બાદ ડિપ્લોમા એન્જીનીયરીંગ કરનાર સંદીપે નિર્ણય લીધો યુવકમાંથી યુવતી બનવાનો. સંદીપે યુવતી બનવા માટે 3 સર્જરી કરાવી છે અને આખરે તે હવે સંદીપ નહીં પણ આલિશા બની ગયો છે. અને સરકારે તેને પ્રમાણપત્ર આપીને માન્યતા પણ આપી દીધી છે.
સુરત જિલ્લા કલેકટર આશિષ ઓકે સંદીપમાંથી આલિશા બનેલા ટ્રાન્સ વુમનને પ્રમાણપત્ર આપ્યું છે. જાતી પરિવર્તન કર્યા બાદ આ પ્રમાણપત્ર તેને આપવામાં આવ્યું છે. હવે લોકો તેને સંદીપ નહિ પણ આલીશાના નામથી ઓળખશે. આલીશાને નાનપણથી જ સ્ત્રી(woman) બનવું હતું. ભલે તેના અંગો પુરુષ જેવા હતા પણ તેની લાગણીઓ, સ્વભાવ એક સ્ત્રી જેવું હતું. આલીશાનું કહેવું છે કે શરૂઆતમાં તેને ડર હતો કે તેની લાગણી વિષે સમાજ શું કહેશે ? લોકો હાંસી ઉડાવશે. પણ તેણે નક્કી કર્યું હતું કે તે જે છે એવું બતાવવામાં શરમાશે નહીં.
2019માં કાયદો પણ બહાર કાઢવામાં આવ્યો હતો કે લીંગ પરિવર્તન કર્યા બાદ યુવક હો કે યુવતી તેમને નવી ઓળખ આપવામાં આવશે. ત્યારથી અલીશાનો આત્મવિશ્વાસ વધ્યો અને તેણે 3 સર્જરીઓ કરાવી સાથે જ જરૂરી દસ્તાવેજ પણ ભેગા કરવાનું શરૂ કર્યું. અલીશાને પરિવારજનોએ પણ ખુબ સપોર્ટ આપ્યો. અને હવે તે ટ્રાન્સવુમન(transwoman) બની ગઈ છે. અલીશાનું કહેવું છે કે કાયદાને માન્યતા હજી માત્ર કાગળ પર જ મળી છે પણ જરૂરી એ છે કે સમાજ અને લોકો આ બાબતને સ્વીકારે.
કોઈ પુરુષમાં સ્ત્રીની લાગણી હોવી કે સ્ત્રી બનવાની ઈચ્છા હોવી તે જ પ્રમાણે કોઈ સ્ત્રીમાં પુરુષ બનવાનું સપનું હોવું કોઈ ખોટી બાબત નથી. સમાજે આ માન્યતામાંથી બહાર આવીને આ લોકોને સ્વીકરવાની વધારે જરૂર છે એવું અલીશા લોકોને સંદેશો આપવા માંગે છે.