સુરત (Surat ) સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીની બીજા તબક્કાની લહેર દરમ્યાન ઓક્સિજન(Oxygen ) માટે તરફડી રહેલા દર્દીઓ અને તેઓના પરિજનોના કરૂણ દ્રશ્યો હજી પણ લોકોના દિલોદિમાગ પરથી દુર થયા નથી. આ વિષમ સ્થિતિનો સામનો કરી ચુકેલા સુરતમાં ફરી આવી સ્થિતિ ના સર્જાય તે માટે જિલ્લા કલેકટરના (Surat District Collector ) વહીવટી તંત્ર દ્વારા ત્રીજા તબક્કાની મહામારીને ધ્યાને રાખી ઓક્સીજનના પુરવઠા પર સવિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
હાલ સુરત શહેરમાં 341 મેટ્રિક ટન ઓક્સીજનની કેપિસીટી છે જે સંભવિત દરેક સ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે. ડિસેમ્બર મહિનામાં ઓમિક્રોન વેરિયેન્ટની એન્ટ્રી સાથે જ સુરત શહેરમાં સંભવિત ત્રીજા તબક્કાની લહેરના ભણકારા સંભળાઈ રહ્યા હતા. જેને પગલે જિલ્લા કલેકટર દ્વારા ઓક્સીજનના પુરવઠા અને સપ્લાય પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
ઓક્સીજનના પુરવઠા અને સપ્લાય પર ચાંપતી નજર રાખવા માટે જિલ્લા કલેકટર દ્વારા અલાયદી ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને ઓક્સીજનના વપરાશ અને સ્ટોક સહિતના પાસાઓ પર સતત મોનિટરીંગ કરી રહી છે. સુરત શહેરમાં હાલ સિવિલ અને સ્મીમેર સહિતની ખાનગી હોસ્પિટલો અને સંસ્થાઓ મળીને હાલ 341 મેટ્રિક ટનની સ્ટોરેજ કેપિસિટી ઉપલબ્ધ છે. જે પૈકી સ્મીમેર હોસ્પિટલમાં સૌથી વધુ 51 જ્યારે સિવિલ હોસ્પિટલમાં 43 મેટ્રિક ટન સ્ટોરેજ ટેંક ઉપલબ્ધ છે.
બીજા તબક્કાની મહામારી દરમ્યાન સુરત જ નહીં સમગ્ર દેશમાં ઓક્સીજનના અભાવે કાળો કહેર મચાવ્યો હતો. એક – એક સિલિન્ડર માટે દર્દીઓ મરણપથારીએ વિવશ નજરે પડી રહ્યા હતા તો બીજી તરફ તેઓના પરિવારજનો ઓક્સીજન સિલિન્ડર માટે રીતસરના તરફડીયા મારી રહ્યા હતા. આ સ્થિતિમાં તત્કાલીન સુરત જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ દ્વારા સુરત શહેરની હોસ્પિટલોમાં ઓક્સીજન સપ્લાય માટે પ્રશંસનીય કામગીરી હાથ ધરી હતી. ઓક્સીજનની જરૂરિયાત અને સ્ટોકનું મોનિટરિંગ કરવા માટે 20 અધિકારીઓની વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. જેને પગલે એક તબક્કે સુરત શહેરમાં રેકોર્ડબ્રેક 247 મેટ્રિક ટન સુધીનો સપ્લાય કરવામાં આવ્યો હતો.
14મી એપ્રિલે નોંધાયો હતો 247 મેટ્રિક ટનનો વપરાશ
સુરત શહેરમાં કોરોના મહામારીના બીજા તબક્કાની લહેર દરમ્યાન એક તબક્કે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલને પણ ખંભાતી તાળા મારવાની નોબત આવી ચુકી હતી. આ દરમ્યાન ગત 14મી એપ્રિલ 2021ના રોજ સુરત શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સૌથી વધુ 247 મેટ્રિક ટનનો વપરાશ સરકારી ચોપડે નોંધાયો હતો.
સુરત શહેરમાં હાલ માત્ર 14 મેટ્રિક ટનનો વપરાશ
કોરોનાની ત્રીજા તબક્કાની લહેર વચ્ચે હાલ સુરત શહેરમાં કોરોનાગ્રસ્ત 400 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. તે પૈકી સિવિલ અને સ્મીમેર સહિતની શહેરભરની 208 હોસ્પિટલોમાં 92 જેટલા દર્દીઓને જ ઓક્સીજન પર છે. હાલ સુરત શહેરમાં માત્ર 14 મેટ્રિક ટનનો હોસ્પિટલોમાં વપરાશ નોંધાયો છે.
આ પણ વાંચો :