Mental Health: કોરોનાથી લોકો ફક્ત શારીરિક કે આર્થિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ થયા પ્રભાવિત, મનોચિકિત્સકો પાસે આવી રહ્યા છે રોજ નવા કેસ
આ મહામારીમાં કેટલાક લોકો તેનો ભોગ બન્યા છે, કેટલાકે તેમના સ્વજનો ગુમાવ્યા છે તો કેટલાકના દિલો-દિમાગ પર બીમારી હાઉ કરી ગઈ છે. આવી સ્થિતિમાં લોકો મનોચિકિત્સકની (psychiatrist) મદદ પણ લઈ રહ્યા છે.
Mental Health: કોરોનાએ ફક્ત લોકોને શારીરિક (physical) કે આર્થિક (financial) જ નહીં પણ માનસિક (mentally) રીતે પણ બહુ નુકશાન પહોંચાડ્યું છે. આ મહામારીમાં કેટલાક લોકો તેનો ભોગ બન્યા છે, કેટલાકે તેમના સ્વજનો ગુમાવ્યા છે તો કેટલાકના દિલો-દિમાગ પર બીમારી હાઉ કરી ગઈ છે. આવી સ્થિતિમાં લોકો મનોચિકિત્સકની (psychiatrist) મદદ પણ લઈ રહ્યા છે.
સુરતના જાણીતા મનોચિકિત્સક મુકુલ ચોકસી પાસે આવા રોજના ચારથી પાંચ દર્દીઓ આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સુરતમાં અંદાજે 45 મનોચિકિત્સક છે અને દરેક પાસે આ જ પ્રકારના કેસોને લઈને લોકો મળી રહ્યા છે.
મુકુલભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તેમની પાસે જે દર્દીઓ આવે છે તે ત્રણ પ્રકારના છે.
1). જેમને કોરોના થઈ ચુક્યો છે અને જેઓ હોસ્પિટલમાં કે આઈસીયુમાં એડમિટ થઈને ઘરે પરત ફર્યા છે, તેઓ માઈન્ડથી એકદમ શૂન્ય થઈ ગયા છે. તેઓના મગજ પર એટલી અસર પડી છે કે તેઓએ બોલવાનું ઓછું કરી દીધું છે. દિવસે સુઈ રહેવુ અને રાત્રે જાગવું તેના લક્ષણો છે.
2). જેમણે પોતાના સ્વજનને ગુમાવ્યા છે. તેઓ પણ શૂન્યાવકાશમાં જતા રહ્યા છે. કંઈ કરી ન શકવાની અને પોતાના સ્વજનને બચાવી ન શકવાની ભાવના તેમને સતાવે છે.
3). જેમને કોરોના કે મ્યુકરમાઈકોસીસનો હાઉ સતત ડરાવી રહ્યો છે. કારણ કે જો આ બીમારી થશે તો તેમનું શું થશે, પરિવારનું શું થશે, આર્થિક ભારણ કેટલું આવશે?
ચોંકાવનારા બે કેસની વાત કરતા તેમણે એ પણ કહ્યું હતું કે એક દંપતીએ પોતાના દોઢ વર્ષના બાળકને કોરોના થશે એ ભીતિએ ઘરની બહાર જ નહોતો કાઢ્યો, દોઢ વર્ષ સુધી આ બાળક માત્ર માતા અને પિતા એમ બે જ ચહેરાને ઓળખતો હતો. દોઢ વર્ષ પછી અનલોક થયા બાદ જ્યારે બાળકને બહાર લઈ જવાયો, ત્યારે તે હેબતાઈ ગયો, તેને માનસિક ઊંડી અસર પડી હતી.
અન્ય એક કેસમાં એક વ્યક્તિ કે જેને કોરોના નહોતો થયો પણ તેને સતત બીક રહેતી હતી કે જો કોરોના થશે તો તેની સારવાર માટે થનારો મોટો ખર્ચ કોણ ઉપાડશે, આટલા રૂપિયા તે ક્યાંથી લાવશે? એ બીકે તે વ્યક્તિએ આત્મહત્યાની કોશિશ કરી હતી.
આવા તો અનેક કેસ તેમની સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા અને પ્રસાર પ્રચાર માધ્યમો થકી આ મહામારીએ માનસિક સંતુલન પણ ખોરવી નાંખ્યું છે. ત્યારે યોગ, પ્રાણાયામ, આધ્યાત્મિક માર્ગ અપનાવીને મગજને શાંતિ મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ તેમજ તે છતાં પણ માનસિક અસ્થિરતા જણાય તો કોઈપણ સંકોચ વિના મનોચિકિત્સકને સંપર્ક કરીને જરૂરી દવાઓ શરૂ કરવાની સલાહ તેમણે આપી છે.
આ પણ વાંચો : AHMEDABAD: મિત્રતામાં પ્રેમ થયો અને પ્રેમમાં પહોચી ગયા પોલીસ સ્ટેશન, જાણો આખો મામલો