Surat : દિવાળી વેકેશન બાદ તુરંત જ VNSGUના યુનિવર્સીટીના વિદ્યાર્થીઓની શરૂ થશે પરીક્ષા
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વેકેશન પૂર્ણ થતાની સાથે જ પરીક્ષા આપવા તૈયારી બતાવવી પડશે.
દિવાળી(Diwali ) વેકેશનમાં લાખો વિદ્યાર્થીઓ પ્રવાસની મજા માણવા નીકળી પડશે ત્યાં બીજા એવા ઘણા વિદ્યાર્થીઓ (Students ) હશે જેઓ પુસ્તકાલયમાં ચોપડી પકડીને પોતાના ભવિષ્યની ચિંતા કરતા જોવા મળશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ની પરીક્ષાઓ 9 નવેમ્બરથી એટલે કે કોલેજ ખુલતાની સાથે જ શરૂ થવા જઈ રહી છે. યુનિવર્સિટીએ વેબસાઈટ પર પરીક્ષાનું સમયપત્રક પણ જાહેર કર્યું છે.
12માનું પરિણામ જાહેર થતાંની સાથે જ VNSGUએ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. વીએનએસજીયુની પ્રવેશ પ્રક્રિયામાં ટેકનિકલ ખામીઓ અને સંકલનના અભાવે વિલંબ થયો હતો. પ્રવેશ પ્રક્રિયા પૂરી થતાં જ દિવાળી વેકેશન આવી ગયું. પ્રવેશ પ્રક્રિયાને કારણે દિવાળી વેકેશન બાદ પ્રથમ સત્રની પરીક્ષાનું આયોજન કરવું અનિવાર્ય થઇ ગયું છે. VNSGU અને સંલગ્ન કોલેજોમાં 21 દિવસનું દિવાળી વેકેશન છે. વેકેશન પૂરું થતાંની સાથે જ કોલેજોમાં પરીક્ષાનો પ્રારંભ થશે.
કઈ રહેશે પરીક્ષા ?
આ શ્રેણીમાં તારીખ 9મી નવેમ્બરથી BA-B.Com સેમેસ્ટર 3 અને B.Sc. સેમેસ્ટર 5ની પરીક્ષા સાથે શરૂ થશે. BA-B.Com સેમેસ્ટર 5ની પરીક્ષા 10 નવેમ્બરથી શરૂ થશે. BSc સેમેસ્ટર 3ની OMR સિસ્ટમના આધારે 12મી નવેમ્બરથી પરીક્ષા શરૂ થશે. સેમેસ્ટર 1 ના વિદ્યાર્થીઓની પરીક્ષા ડિસેમ્બરમાં લેવામાં આવશે.
આમ વેકેશન દરમિયાન જ્યાં ઘણા વિદ્યાર્થીઓ પરિવાર કે મિત્રો સાથે હરવા ફરવા નીકળી પડશે. ત્યાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વેકેશન પૂર્ણ થતાની સાથે જ પરીક્ષા આપવા તૈયારી બતાવવી પડશે. યુનિવર્સીટી દ્વારા પણ વેકેશન બાદ તુરંત શરૂ થતી પરીક્ષાઓ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરીક્ષા પેપરથી લઈને, બેઠક વ્યવસ્થા અને પરીક્ષા નિયામકો અને નિરીક્ષકોએ પણ દિવાળી વેકેશન બાદ એક પણ દિવસનો આરામ લીધા વિના આ પરીક્ષામાં જોતરાવું પડશે એ નક્કી છે.