રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરી ઘરવિહોણા લોકો માટે સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation ) દ્વારા હાલમાં ચાર શેલ્ટર હોમ (Shelter Home ) કાર્યરત છે. કુલ 1456 લોકોની ક્ષમતા ધરાવતા 4 શેલ્ટર હોમ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા હવે કતારગામ અને લીંબાયતમાં 50 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 2 હજારથી વધુ લોકોની ક્ષમતા ધરાવતા વધુ 7 શેલ્ટર હોમ બનાવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી છે. જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં સમિતિ દ્વારા આ શેલ્ટર હોમ બનાવવા માટેના અંદાજોને મંજૂરી આપવામાં આવી છે.
ટી.પી.સ્કીમ નંબર 26 (સિંગણપોર) ખાતે શેલ્ટર હોમ બનાવવા માટે 5 વર્ષના એએનએમ સાથે 5.62 કરોડ, ટી.પી.સ્કીમ નંબર 25(સિંગણપોર, ટૂંકી) માં શેલ્ટર હોમ બનાવવા માટે 9.10 કરોડના અંદાજ, ટી.પી.સ્કીમ નંબર 19(કતારગામ) માટે 5.37 કરડો અને ટી.પી.સ્કીમ નંબર 1(લાલ દરવાજા)માટે 12.31 કરોડ તેમજ ટી.પી.સ્કીમ નંબર 39(ઉધના લીંબાયત)માં 390 બેડની ક્ષમતા ધરાવતા સૂચિત શેલ્ટર હોમ માટે 7.43 કરોડનો ખર્ચ, ટી.પી.સ્કીમ નંબર 19(પર્વત મોંગોબ)ખાતે 240 બેડની ક્ષમતા ધરાવતા શેલ્ટરના આયોજન માટે 6.14 કરોડ અને લીંબાયત ડિંડોલીમાં પણ 490 બેડની ક્ષમતા ધરાવતા શેલ્ટર માટે 8.99 કરોડના અંદાજને જાહેર બાંધકામ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
આમ, બે ઝોન વિસ્તારમાં અંદાજે 50 કરોડથી વધુના ખર્ચે 2 હજાર બેડથી વધુની ક્ષમતા ધરાવતા શેલ્ટર હોમ આગામી દિવસોમાં શહેરમાં બની શકે તેમ છે. જાહેર બાંધકામ સમિતિની મંજૂરી બાદ હવે વિભાગ દ્વારા સામાન્ય સભાની મંજૂરી મળતાની સાથે જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકે દ્વારા શહેરના ઘરવિહોણા લોકો માટે આશ્રયસ્થાનો બનાવવાની અદભુત પહેલ શરૂ કરી હતી. જે પાછળનો મુખ્ય હેતુ ફૂટપાથ પર રહેતા લોકો માટે એવું આશ્રયસ્થાન ઉભું કરવાનો છે જેને તે “ઘર” કહી શકે. આ શેલ્ટર હોમમાં મોટાભાગે એવા બાળકો હોય છે જેઓ ફ્લાયઓવર કે ફૂટપાથ નીચે રાત દિવસ વિતાવે છે, સ્ત્રીઓને પણ રસ્તા કે ફૂટપાથ પર રહેવાની ફરજ પડે છે જ્યાં તે કપડાં બદલી શકે તેવી જગ્યા પણ તેમને મળતી નથી. શૌચાલયનો ઉપયોગ કરવા પણ તેમને શોધવું પડે છે. તેમાંથી ઘણી ગર્ભવતી સ્ત્રીઓ પણ છે જેમને પણ કોઇ સલામતી વગર ફૂટપાથ પર જ રહેવાની ફરજ પડે છે.
ત્યારે કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવતા શેલ્ટર હોમમાં રહેતા બાળકોને મોબાઈલ, કમ્પ્યુટર અને ઇન્ટરનેટ જેવી જરૂરી સાધનો સાથે તેમના અભ્યાસને પ્રોત્સાહન આપવામાં આવે છે. સાથે જ તેમને સ્ટેશનરી અને અન્ય અભ્યાસ સામગ્રી ની કીટ પણ આપવામાં આવે છે.
આ પણ વાંચો : Surat: ફ્લાઈટો શરૂ થતાં જ સુરતી ઘારીની ‘ડિમાન્ડ’ વધી, વિદેશોથી ઓર્ડર આવવાના શરૂ
આ પણ વાંચો : Golden Ghari: સુરતમાં મળતી સોનાની આ ઘારીને ખાવી કે જોવી? કિંમત જાણશો તો ચોંકી જશો