Surat : વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા લોકો માટે સુરતીઓએ વધુ એક વખત દાનની સરવાણી વહેતી કરી
તાઉ તે વાવાઝોડાના વિનાશ બાદ બેઘર અને અસરગ્રસ્ત થયેલા લોકો માટે સુરતે ફરીવાર દાનની સરવાણી વહેતી કરી દીધી છે.
Surat : તાઉ તે વાવાઝોડાના વિનાશ બાદ બેઘર અને અસરગ્રસ્ત થયેલા લોકો માટે સુરતે ફરીવાર દાનની સરવાણી વહેતી કરી દીધી છે. ભાવનગર અને આસપાસના પંથકમાં વાવાઝોડાને કારણે મોટી ખુવારી અને નુકશાન થયું છે. તેવામાં સુરતે હવે મદદનો હાથ લંબાવ્યો છે. આ અસરગ્રસ્તોની વ્હારે આવી તેમને જીવનજરૂરી વસ્તુઓની કીટ પહોંચાડવા સુરતની અનેક સંસ્થાઓએ તૈયારી શરૂ કરી દીધી છે. અનેક સંસ્થાઓ દ્વારા અનાજ કરીયાણાની કીટ બનાવીને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવા કવાયત હાથ ધરવામાં આવી છે.
ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના અંતરિયાળ ગામોની હાલત સૌથી વધારે કફોડી થઈ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોને જોડાવા માટે અપીલ કરવામાં આવી રહી છે. સરથાણા, કાપોદ્રા, વરાછા, કતારગામ વિસ્તારોમાં અનેક સંસ્થાઓ દ્વારા આ તૈયારીઓ શરૂ કરાઇ છે.
આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ આ કાર્યમાં જોડાયા છે. કોરોના બાદ આ વાવાઝોડાથી ગરીબ અને શ્રમિક વર્ગ પર પડતા પર પાટુ જેવી સ્થિતિ થઈ છે. આ સ્થિતિમાં તેમની સહાય કરવા માટે કરીયાણાની કીટ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં પાંચ કિલો ઘઉંનો લોટ, બે કિલો મગ, બે કિલો ચોખા, એક લીટર ખાદ્યતેલ સહિત કરિયાણું અને મસાલા આપવામાં આવે છે. અને તે માટે દાતાઓને પણ અપીલ કરવામાં આવી રહી છે.
સુરત મદદ માટે હંમેશા અગ્રેસર રહ્યું છે. કોરોના દરમ્યાન પણ સૌરાષ્ટ્ર તરફ સેવા કરવા સુરતના યુવાનો અને ડોકટરોની ટીમ આગળ આવી હતી. અને હવે જ્યારે તાઉ તે વાવાઝોડાનો કહેર જોવા મળ્યો છે. ત્યારે પણ સુરતે મદદનો હાથ આગળ લંબાવ્યો છે.