સુરતમાં અનલોકમાં મોટા ભાગના વેપાર ધંધાઓ શરૂ કરવાની પરવાનગી મળી ગઈ છે. તેવામાં સુરતના વસંત ભિખાની વાડી પાસે પાલિકાની નીતિના બેવડા ધોરણો સામે આવ્યા છે. અનલોકના આ સમયમાં બધા જ લોકો પોતાનો ઠપ્પ થયેલો ધંધો રોજગાર બેઠો કરવા મથી રહ્યા છે ત્યાં ગરીબોનું કોઈ બેલી નથી એ બાબત સુરત મહાનગરપાલિકા સાબિત કરી રહી છે.
વસંત ભિખાની વાડી પાસે વર્ષોથી શાકભાજી અને ફ્રૂટ માર્કેટ ભરાય છે. પણ અહીંના સ્થાનિક કોર્પોરેટરની દાદાગીરીના કારણે લારી ચલાવતા શ્રમિકોની હાલત કફોડી બની છે. આ એવો વર્ગ છે જે અનલોક બાદ હાલ વતનથી આવીને રોજનું કમાવીને રોજનું ખાવા મહેનત કરી રહ્યા છે. કોર્પોરેટર અને પાલિકાના અધિકારીઓ પાસે હપ્તા ઉઘરાવીને જ ધંધા રોજગારની પરમિશન આપવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ શાકભાજી વિક્રેતાઓએ કર્યો છે. જો હપ્તા આપવાની ના પાડવામાં આવે તો શાકભાજીવાળાની લારી રસ્તામાં દબાણરૂપ હોવાનો હવાલો આપીને લારી ઊંચકી લેવામાં આવે છે.
આ પહેલી વાર નથી, આ પહેલા પણ શાકભાજી વિક્રેતાઓની રોજીરોટી પર તરાપ મારવામાં આવી છે. અન્ય વિસ્તારોમાં પણ આ જ સ્થિતિ હોવા છતાં માત્ર વસંત ભિખાની વાડી પાસે ધંધો કરતા શાકભાજી વિક્રેતાઓને ખોટી હેરાનગતિ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે.
પણ હાલ કોરોનાના કારણે પહેલાથી લોકોની આર્થિક હાલત કફોડી છે અને તેવા સમયે ગરીબોના પેટ પર કોર્પોરેટર અને અધિકારીઓ રુઆબ જમાવીને જે લાત મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે નિંદનીય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 11:29 am, Thu, 1 October 20