
ગ્રાહકોના આરોગ્યને પ્રાધાન્ય આપતા હવે ગુજરાત સરકારે પણ એનાલોગ પનીર અને ચીઝ પર પ્રતિબંધ મુક્યો છે. રેસ્ટોરન્ટ સંચાલકોને નિયમ પાલનની સૂચના કરવામાં આવી છે. હવે કોઈ પણ હોટલ રેસ્ટોરન્ટમાં એનાલોગ પનીર કે ચીઝનો ઉપયોગ કરી શકાશે નહીં. સધર્ન ગુજરાત હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન (SHARA) દ્વારા સરકારના આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું છે કે અમારા તમામ સભ્યો આ નિર્ણયનું પાલન કરશે. અગાઉ જ્યારે એનાલોગ પનીરને લઈને જે નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારથી જ એનાલોગ પનીર બંધ કરવામાં આવ્યું હતું.
સુરતમાં તહેવારો પૂર્વે ઉત્રાણમાં પોલીસ-ફૂડ વિભાગનું ચેકિંગ હાથ ધરાયું છે. મીઠાઈ, ફરસાણ અને બેકરીમાં સરપ્રાઇઝ તપાસ માટે અધિકારી લોકો પહોંચ્યા હતા. ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી હાથ ધરી હતી. વિવિધ ખાદ્યપદાર્થોના સેમ્પલ લેબમાં મોકલાયા છે. વેપારીઓને ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે સૂચના આપી છે. નિયમભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી ફૂડ સેફ્ટી વિભાગે આપી છે. તહેવારો દરમિયાન ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે. નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે તહેવારો દરમિયાન આ પ્રકારનું ચેકિંગ સતત ચાલુ રાખવાની સુરત શહેર પોલીસની કટિબદ્ધતા છે.
જામનગરમાં ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં એનાલોગ પનીર અને ચીઝ પર ચેકીંગ હાથ ધરાયું છે. નાસ્તાની દુકાન વિક્રતાને ત્યા છૂટક પનીર એનાલોગ વારુ મળી આવ્યું છે. પીઝા પાર્લરમાંથી 12.50 કિલોગ્રામ એનાલોગ ચીઝ મળી આવ્યું છે. ફૂડ વિભાગની કાર્યવાહીથી રેસ્ટોરન્ટ, પીઝા પાર્લર અને ફાસ્ટફૂડ વિક્રતાઓમાં ફફડાટ જોવા મળી છે. આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે
શહેરના તમામ વેપારીઓને શુદ્ધ અને તાજું પનીર, ચીઝ ખોરાકમાં વાપરવા માટે સૂચના આપવામાં આવી છે.
રાજ્ય સરકારના એનાલોગ વેચાણના પ્રતિબંધને લઈ વડોદરા આરોગ્ય વિભાગ પણ એલર્ટમાં છે. આરોગ્ય વિભાગ દ્વારા 4 જોડની ચાર ટીમ બનાવી તપાસ હાથ ધરશે. સૌપ્રથમ ડિસ્ટ્રીબ્યુટર્સ કે જેમના ત્યાંથી પનીર ચીઝ અને બટરનું રેસ્ટોરન્ટ સુધી પહોંચે છે ત્યાં તપાસ કરવામાં આવશે. કુલ 12 ફૂડ સેફ્ટી ઑફિસર દ્વારા તપાસ કરાશે. પહેલી વખત મળશે તો નોટિસ અપાશે ત્યારબાદ FSSI એક્ટ પ્રમાણે કાર્યવાહી થશે.
રાજકોટના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી ફોર્ચ્યુન પનીર ફેક્ટરીમાં શંકાસ્પદ એનાલોગ પનીરનું ઉત્પાદન ચાલુ હોવાનો મામલો સામે આવ્યો છે. ગત 25 જૂનના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ટીમે આ જ સ્થળેથી એનાલોગ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આરોપ છે કે અસલી પનીર તરીકે ઓળખ આપી એનાલોગ પનીરનું વેચાણ કરવામાં આવતું હતું. અગાઉ કાર્યવાહી થયા બાદ પણ ઉત્પાદન ચાલુ હોવાના આક્ષેપોથી તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. આરોગ્ય વિભાગે નમૂના લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.