તારીખ 2 જી ઓક્ટોબર ગાંધી જયંતિ (gandhi jayanti) સુધીમાં શહેરમાં 100 ટકા વેક્સિનેશન (vaccination) લોકોને પ્રાપ્ત થાય અને લોકોને પ્રથમ ડોઝ માટે આવરી લેવામાં આવે તેવું આયોજન સુરત મહાનગર પાલિકાએ કર્યું હતું. પરંતુ વેક્સિનના પૂરતા જથ્થાના અભાવે તે હવે પૂર્ણ નહીં થઇ શકે. અત્યાર સુધી સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા 98.28 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
સુરત મનપાના આંકડા પર નજર કરીએ તો હજી પણ 58 હજાર કરતા વધુ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ મેળવ્યો નથી. ગઈકાલે જો કોર્પોરેશન પાસે વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોત તો મહાનગર પાલિકા દ્વારા મેગા વેક્સિનેશન ઝુંબેશ ઉપરાંત પ્રથમ ડોઝ લીધો ન હોય તેવા લોકો માટે ડોર ટુ ડોર ઝુંબેશ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું હોત.
સરકાર તરફથી મનપાને વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થયો નથી અને આજે પણ મહાનગર પાલિકા દ્વારા રૂટિન મુજબ જ વેક્સિનેશન સેન્ટરો પર વેક્સિન આપવામાં આવી રહી છે. સુરત મનપાના આરોગ્ય વિભાગ પાસે હાલ 10 હજાર જેટલા ડોઝ ઉપલબ્ધ છે. જેથી મનપાનું 100 ટકા વેક્સિનેશન કરવાનો લક્ષ્યાંક આજે પણ પરિપૂર્ણ નહીં થાય એ નક્કી છે.
શહેરમાં 18 વર્ષથી વધુ વય ધરાવતા શહેરમાં 34,32,737 લોકો પૈકી 33,73,779 લોકોએ પહેલો ડોઝ મેળવી લીધો છે. જયારે 15,87,379 લોકોએ બંને ડોઝ મેળવી લીધા છે. પ્રથમ ડોઝ માટે મહાનગર પાલિકા 98.28 ટકા અને બીજા ડોઝ માટે 47.07 ટકા લક્ષ્યાંક કોર્પોરેશન દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા છે.
ભલે હજુ 2 જી ઓક્ટોબર સુધી કોર્પોરેશને 100 ટકા લક્ષ્યાંક સુધી પહોંચી શકાયું નથી. કારણ કે પહેલા ડોઝ માટે હજી પણ 58 હજારથી વધુ લોકો બાકી છે. જયારે મનપા પાસે હાલ 10 હજાર ડોઝ ઉપલબ્ધ છે. પણ જે પ્રકારે સુરત મનપાની કામગીરી વેક્સિનેશનમાં ઝડપી રહી છે તે જોતા આ ઓક્ટોબર મહિનાના અંત સુધી આ લક્ષ્યાંક મેળવી લેવામાં આવશે એવું પાલિકા અધિકારીઓને વિશ્વાસ છે.
આમ, કોરોનાને નાથવા માટે સુરત કોર્પોરેશને જે માઈક્રો પ્લાનિંગ કર્યું છે તે બાદ હવે વેક્સિનેશન માં પણ સુરત કોર્પોરેશનની અન્ય મહાનગર પાલિકાની સરખામણીએ કાબિલે તારીફ રહી છે.
આ પણ વાંચો : Surat : બાળકોને થર્મલ ગનથી ચેક કર્યા પછી શાળામાં પ્રવેશ આપવા શિક્ષણાધિકારીનું સૂચન
આ પણ વાંચો : Surat : સુરતીઓ નવું લાવ્યા !! નવરાત્રી માટે તૈયાર કર્યા કોરોના જાગૃતિ માટેના ચણિયાચોળી