Saurashtra : જામનગરના કાલાવડ તાલુકામાં વરસાદના કારણે ભારે તારાજી સર્જાઇ છે. કાલાવડ તાલુકાના ધુડશીયા, બાંગા અને લલોઇમાં ભારે તારાજીના દ્રશ્યો જોવા મળ્યાં છે. ધુડશીયા ગામમાં ભારે વરસાદને કારણે અનેક મકાનો પડેલા જોવા મળ્યા છે. તો ગામમાં અનાજ પલળી ગયું છે.
ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ
પોરબંદરના માધવપુરમાં મધુવંતી નદી તેમજ ભાદર નદીનું પાણી આવતા સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાયો. માધવપુરમાં ઉપરવાસ ભારે વરસાદના કારણે માધવપુર ઘેડના મંડેર, કડછ, ઘોડાદર, સરમાં, સામરડા સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. મધુવંતી તેમજ ઓઝત નદીનું પુર આવતા માધવપુરના મોટા ઝાપાની સહીતના વિસ્તારોની દુકાનોમાં પાણી ઘુસ્યા છે. ઘેડના નિચાણવાળા વિસ્તારના મકાનોમાં પાણી ઘુસી જતા લોકો પરેશાન થયા છે. ત્યારે ઘેડ વિસ્તારના ગામોમાં પુરના પાણીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
ભાદર અને ઓઝત નદીના પાણી ફરી વળ્યાં
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ભાદર અને ઓઝત નદીના પાણી પોરબંદરના સીમાડા સુધી પહોંચી ગયા છે. પોરબંદર શહેરના પ્રવેશ દ્વાર કર્લી જળાશયમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. કર્લી જળાશય પાસે આવેલો અસમાવતી રિવરફ્રન્ટમાં પાણી ઘૂસ્યા છે.
ભાદર નદીનાં પાણી હવે ઘેડથી આગળ વધીને પોરબંદર પહોંચ્યાં છે. પોરબંદરની જ્યૂબેલી ખાડીમાં આવેલા ખોડિયાર મંદિરમાં ભાદરના પાણી ઘૂસી જવાથી અડધું મંદિર પાણીમાં ડૂબી ગયું છે એટલું જ નહીં. પાણી કર્લી જળાશયમાં આવવાથી આસપાસના વિસ્તારોમાં રહેતા મજૂરોના ઘરોમાં કેડ સમાણાં પાણી ભરાઈ જતાં તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે. કર્લી જળાશયમાંથી આ વરસાદી પાણી અંતે સમુદ્રમાં વહેતાં થઈ રહ્યાં છે.
જૂનાગઢમાં રાતથી વરસાદે વિરામ લીધો છે. હજુ ઘેડ પંથકના ગામો વરસાદી પાણીમાં તરબોળ થયા છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન પહોંચ્યું છે. કેશોદ, માણાવદર અને માંગરોળ તાલુકાના ગામોમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાથી લોકોને હાલાકી પડી રહી છે.
કેશોદના બાલાગામ પંચાળાનો વિસ્તાર પાણી-પાણી થયો
ભારે વરસાદને પગલે જૂનાગઢ જિલ્લાના કેશોદના બાલાગામ પંચાળાનો સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. ખેડૂતોના ખેતરોમાં નદી જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં હજી પણ 2 દિવસ સુધી પૂર જેવી સ્થિતિ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. પંચાળાના ખેડૂતો પાણી ઓસરવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
ઘેડ પંથકમાં અનેક ગામો સંપર્કવિહોણા બન્યા
કેશોદના ઘેડના ગામોમાં પુર જેવી સ્થિતિ છે. ઘેડમાંથી પસાર થતી નદીઓમાં પુર આવવાને કારણે ખેડૂતોના ખેતરોમાં નદીના પાણી ઘૂસી ગયા છે. બીજી તરફ પાણી ભરાય જવાથી ખેડૂતોના પાકને પણ ભારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. દરવર્ષે ઘેડ વિસ્તારના ગામોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે ત્યારે ખેડૂતો નદીમાં પૂર આવતું અટકાવવા સરકાર પાસે આ પહેલા પણ અનેક રજૂઆત કરી ચુક્યા છે.
રાજકોટના ઉપલેટામાં ખેતરોમાં પૂરનાં પાણી ઘૂસી જતાં પાકનું ધોવાણ થયું છે. મોજ નદીના પૂરથી કપાસ, મગફળી, સોયાબીન, એરંડા જેવા પાક ધોવાયા છે. તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને સહાય ચૂકવવા ખેડૂતોની માંગ છે.
Published On - 5:08 pm, Wed, 15 September 21