Sabarkantha: કોરોના (Corona Virus) ની ત્રીજી વેવ (Third Wave) સંકટની આશંકા વર્તાઇ રહી છે. તો બીજી તરફ તંત્ર પણ હવે કોરોનાની બીજી લહેરની થપાટ પર થી શીખીને, સંભવીત ત્રીજી લહેર પહેલા તૈયારીઓ (Third Wave Preparation) કરી લીધી છે. સાબરકાંઠા (Sabarkantha ) જીલ્લામાં આરોગ્ય વિભાગે કોરોનાની થર્ડ વેવની સંભાવનાઓને લઇને તૈયારીઓ શરુ કરી દીધી છે. જિલ્લાની મુખ્ય સિવીલ હોસ્પીટલમાં સ્ટાફ અને ડોક્ટરો વધારવા થી લઇને બેડની સંખ્યા ત્રણ ગણી કરી દેવામાં આવી છે. સાથે જ જીલ્લામાં ઓક્સીજન પ્લાન્ટ (Oxygen plant) વધુ 11 સ્થાપવામાં આવ્યા છે.
સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા વચ્ચે એક માત્ર આશાનુ કિરણ રહેલી GMERS હોસ્પિટલમાં ઓક્સિજન બેડની સંખ્યા વધારી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ અને સિવીલ સત્તાવાળાઓ મુજબ 400 થી પણ વધુ બેડ ની સગવડ કરવામાં આમ હવે ઓક્સીજન સાથે 900 થી વધુ બેડની સવલત હિંમતનગર સિવીલમાં મળી રહેશે. આ ઉપરાંત જીલ્લામાં ખેડબ્રહ્મા અને ઇડરની સિવીલ હોસ્પીટલમાં પણ સવલતો વધારી દેવામાં આવી છે. તો વળી તબીબ અને નર્સીંગ સ્ટાફમાં પણ વધારો કરી દેવાયો છે.
હિંમતનગરની GMERS સિવીલ સુપ્રિટેન્ટેડન્ટ ડો આશિષ કતારકરે કહ્યુ હતુ. હાલમાં અમે ઓક્સીજન બેડની સંખ્યા જે છે તે વધારીને 900 જેટલી કરી દીધી છે. સાથે જ સ્ટાફ તૈયાર કરી દેવામાં આવ્યો છે. અગાઉના અનુભવમાંથી અમે તેમાંથી જ શોધીને તૈયારીઓ કરી છે.
અગાઉ માત્ર 4 ઓક્સિજન પ્લાન્ટ ઉપલ્બ્ધ હતા. જેની સામે હવે જીલ્લામાં વધુ 11 પ્લાન્ટ તૈયાર થયા છે. આમ હવે જિલ્લામાં 15 પ્લાન્ટ સ્થપાઇ ચુક્યા છે. ખાનગી અને સરકારી હોસ્પીટલમાં પણ બેડની સંખ્યા વધારવામાં આવી છે. 1400 થી વધારે ઓક્સિજન સુવિધા ધરાવતા બેડ તૈયાર કરાઇ રહ્યા છે. સાથે જ સ્ટાફને પણ વધારી દેવામાં આવ્યો છે.
યોગ્ય લાયકાત ધરાવતા વોલિયન્ટર પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેમને હાલમાં યોગ્ય તાલિમ પૂરી પાડવામાં આવી છે. સાથે જ સિવીલ હોસ્પીટલ બાળકો માટે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બાળકો માટે ખાસ વેન્ટીલેટર સુવિધા ધરાવતી સુવિધા ઉભી કરવામાં આવશે. સાથે જ જિલ્લા આરોગ્ય આરોગ્ય અધિકારી ડો રાજેશ પટેલે કહ્યુ હતુ. હિંમતનગરમાં 500 થી 1 હજાર બેડની હંગામી હોસ્પીટલ ડુમ લગાવીને ઉભી કરી શકાય, તેવુ પ્લાનીંગ પણ કરવામાં આવી રહ્યુ છે. જે જરુરીયાતના સમયે હંગામી ઉભી કરી શકાય.
સાબરકાંઠા જીલ્લામાં હાલમાં કોરોના ની સ્થિતી જોવામાં આવે તો માત્ર ત્રણ જ કોરોના એક્ટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે હાલમાં સ્થિતી હળવી બની ચુકી છે. પરંતુ કોરોના થર્ડ વેવ ની સંભાવનાને ધ્યાને રાખીને રસીકરણ અભિયાનને તેજ બનાવી દેવામા આવ્યુ છે. તો વળી જીલ્લામાં હવે કોરોના દર્દીઓની સંખ્યા વધે એવા કિસ્સાઓમાં શુ કરી શકાય તે અંગે પણ પ્લાનીંગ આરંભી દેવાયા છે.