Sabarkantha: હવે વડાલી બાદ ઈડરમાંથી વધુ એક તાલુકાની રચના કરવાની માંગ, 42 ગામના લોકોએ રેલી નિકાળી
ઈડર (Idar) માંથી આ પહેલા વડાલી તાલુકાની રચના કરવામાં આવી હતી, આ વાતને વર્ષો વિતવા લાગ્યા બાદ જાદર (Jadar) ને તાલુકો બનાવવાની માંગ સંતોષાઈ નથી.
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો અલગ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ જિલ્લામાં તાલુકાઓની સંખ્યામાં સ્વાભાવિક જ ઘટાડો થયો હતો. પરંતુ પોશીના તાલુકાને જાહેર કરવામાં આવતા સાબરકાંઠા જિલ્લામાં 8 તાલુકાની સંખ્યા થઈ હતી. પરંતુ આ દરમિયાન ઈડર (Idar) તાલુકામાંથી જાદર (Jadar) ને અલગ તાલુકો બનાવવાની માંગ વર્તાઈ રહી છે. આ માંગ પણ વર્ષો જૂની છે, પરંતુ તેની પર કોઈ વિચાર થઈ રહ્યો નથી. જેને લઈ હવે જાદર અને તેની આસપાસના વિસ્તારના ગામડાઓના સરપંચો અને અગ્રણીઓએ રેલી યોજીને જાદરને તાલુકો બનાવવાની માંગ હવે તેજ બનાવી છે.
જાદરને તાલુકો બનાવવા માટે વિસ્તારના લોકોએ થોડાક સમય અગાઉ જ લેખિત રજૂઆત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને કરી હતી. ત્યાર બાદ પણ આ અંગે રજૂઆતો મૌખીક રુપે કરવામાં આવી રહી હતી. જોકે હજુ સુધી કોઈ જ હકારાત્મક અણસાર પ્રાપ્ત નહી થતા સ્થાનિક લોકોએ તે માંગને શાંતિ પૂર્વક કરવા માટેનો પ્રયાસ તેજ બનાવી દીધો છે. સોમવારે જાદરમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી અને જેમાં હાજરી વડે લોકોએ જાદરને તાલુકો બનાવવાની માંગ કરી છે.
જાદર સ્ટેશનથી પ્રસિદ્ધ મુક્તેશ્વર મહાદેવના મંદિર સુધી રેલી નિકાળવામાં આવી હતી. જ્યાં બાદમાં રેલીને સભા સ્વરુપ ફેરવવામાં આવી હતી. રેલીમાં 30 ગામના સરપંચો અને તે પંચાયતો સાથે જોડાયેલ 12 ગામોના આગેવાનો માંગણીને ટેકો આપવા માટે જોડાયા હતા. જાદર વિભાગીય વિકાસ સમિતિની આગેવાની હેઠળ આ રેલી યોજવાનુ આયોજન કરાયુ હોવાનુ સમિતિના અધ્યક્ષ ગીરીશભાઈ પટેલે જણાવ્યુ હતુ.
પહેલા વડાલી તાલુકો અલગ થયો હતો
ઈડર તાલુકામાંથી પહેલા વડાલી તાલુકાને અલગ કરવામાં આવ્યો હતો. ઇડર ભૌગલીક દૃષ્ટીએ આજે પણ વિશાળ તાલુકો છે અને જે તે વખતે 1998 પહેલા વિશાળ હતો. જેથી તેનુ વિભાજન કરીને વડાલી તાલુકાને અલગ નિર્માણ કરવામાં આવ્યો હતો. જોકે જાદર વિસ્તાર પણ લાંબો પહોળો વિસ્તાર હોવાને નાતે વિસ્તારના લોકો ઈડરમાંથી જાદરને અલગ કરવા માટેની માંગ કરી રહ્યા છે. આવી જ રીતે અરવલ્લી જિલ્લામાં પણ શામળાજી તાલુકાની માંગ વર્તાઈ રહી છે. શામળાજી તાલુકાની રચના ભિલોડા તાલુકામાંથી અલગ કરીને કરવા માટે માંગ વર્તાઈ રહી છે. આમ બંને જિલ્લાઓને એક એક વધુ તાલુકાનો લાભ મળે એવી માંગ થઈ રહી છે. જેથી લોકોને સરકારી કચેરીઓ માટે ખાવા પડતા લાંબા ધક્કાઓમાંથી મુક્તી મળે.