સરપંચના ફોનથી પોલીસ દોડતી પહોંચી તો હોરર ફિલ્મ જેવો સીન જોવા મળ્યો, લટકતી લાશનો અડધો હિસ્સો જ ગાયબ હતો
યુવકની લાશ લટકતી હોવાની જાણકારી ગામના સરપંચને મળી હતી, જાગૃત સરપંચે પોલીસને તાત્કાલીક જાણ કરતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તો અડધી લાશ જ ગાયબ હોવાનુ જોવા મળ્યુ હતુ.
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના વિજયનગર (Vijaynagar) તાલુકાના દંતોડ ગામની સીમના અરવલ્લીના જંગલ વિસ્તારમાં ડુંગર પરથી એક યુવકની લાશ મળી આવી હતી. જોકે આ લાશ અડધી જ હોવાને લઈને પોલીશ પણ લાશની સ્થિતી જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. કારણ કે લાશનો નિચેનો હિસ્સો ક્યાં ગાયબ થઈ ગયો હશે. તો પોલીસને યુવકની હત્યા કરીને લાશને અહીં અડધી જ લટકાવી હશે કે કેમ તેવા અનેક સવાલો પોલીસ સમક્ષ પેદા થઈ રહ્યા છે. વિજયનગરના ચિઠોડા પોલીસ સ્ટેશન (Chithoda Police Station) ને આ અંગેની ફરીયાદ નોંધીને યુવકની તપાસ હાથ ધરી છે. સાથે જ યુવકની લાશના અડધા હિસ્સાની પણ શોધ હાથ ધરી છે.
ચિઠોડા પોલીસને દંતોડના સરપંચ મારફતે જાણકારી મળી હતી કે નજીકના ડુંગર ઉપર કોઈ અજાણ્યા પુરુષ યુવકની લાશ ઝાડ પર લટકી રહી છે. જેને લઈને ચિઠોડા પોલીસની ટીમ દંતોડના જે તે સમાચાર મુજબના ડુંગર પર પહોંચી હતી. પરંતુ પોલીસની ટીમ યુવકની લાશ જોઈને જ ઘડીકભર આંચકો ખાઈ ગઈ હતી. કારણ કે લાશ આખી નહી પરંતુ અડધી જ લટકી રહી હતી. એટલે જ તેને જોતા જ જાણે કે કોઈ હોરર ફિલ્મના દૃષ્ય જેવી સ્થિતી લાગી રહી હતી.
ચિઠોડા પોલીસે લાશની પ્રાથમિક તપાસ કરીને લાશને ઝાડ પર લાગેલા કમર પટ્ટા વડે બનાવેલા ફંદામાંથી નિચે ઉતારીને વિજયનગરની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરવા માટે મોકલી આપી હતી. પોલીસે અજાણ્યા યુવકના પરિવારજનોની પણ તપાસ હાથ ધરી હતી, જેથી યુવકની ઓળખ સામે આવતા તેની સાથેની કડીઓ પણ મળી આવે.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટ તપાસની દીશા નક્કી કરશે
પોલીસનુ પ્રાથમિક અનુમાન છે કે, આ લાશ એકાદ બે દીવસ નહીં પરંતુ સપ્તાહ પૂર્વે અહીં લટકેલી હોવી જોઈએ. જોકે સૌથી મોટો સવાલ એ છે કે આ આત્મહત્યા છે કે હત્યા? જેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. જો આત્મહત્યા હોય તો લાશના નિચેના હિસ્સો એટલે કે બંને પગ કોઈ જંગલી જનાવર દ્વારા લાશમાંથી ખાઈ લીધા હોય. જોકે પોલીસને એ પણ શંકા છે કે, જો જાનવરે આમ કર્યુ હોય તો કેટલાક અંગો કે હાડકા વેરાયેલી હાલતમાં સ્થળની આસપાસના વિસ્તારમાંથી મળી આવવા જોઈએ.
તો બીજી આશંકા એ પણ છે કે, કોઈએ હત્યા કરીને લાશના બંને પગ કાપી નાંખીને લાશને અંહી ઝાડ પર લટકાવી દીધી હોઈ શકે. પોલીસે હવે તમામ પાસાઓ તરફ શંકાઓ દાખવીને તપાસનો દૌર શરુ કર્યો છે. આ માટે પોલીસે આસપાસના વિસ્તારને પણ સર્ચ કરીને કડી મેળવવા માટે પ્રયાસ કર્યો છે. પોલીસ પોસ્ટ મોર્ટમના રીપોર્ટની પણ રાહ જોઈ રહી છે, જેથી યુવકનુ મોત કેવી રીતે નિપજ્યુ એ સ્પષ્ટ થઈ શકે અને લાશ અડધી કેમ છે એ પણ સ્પષ્ટ થઈ શકે. જેથી પોલીસ એ દીશામાં તપાસ હાથ ધરી શકે.