Sabarkantha જિલ્લાના તલોદ શહેરમાં આજથી લોકડાઉન (Lockdown)ની શરુઆત કરવામાં આવી હતી. શનિવાર અને રવિવાર એમ બે દિવસ સળંગ બજારો બંધ રાખવાની શરુઆત શુક્રવાર બપોરથી કરવામાં આવી હતી. તલોદ શહેરના વેપારીઓ અને લોકોએ પણ સ્વંયભૂ લોકડાઉનને સજ્જડતા પૂર્વક પાળવાની શરુઆત કરી હતી.
સાબરકાંઠા જીલ્લામાં પણ કોરોના સંક્રમણનું પ્રમાણ હવે વધવા લાગ્યુ છે. સરકારી આંકડાઓ અત્યાર લગી જ આંગળીને વેઢે ગણી શકાતા હતા એ હવે વધવા લાગ્યા છે. સાબરકાંઠા જીલ્લામાં વધતા જતા કોરોના સંક્રમિતોની સંખ્યાને ધ્યાને રાખીને પહેલા ખેડબ્રહ્મા શહેરમાં વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન કર્યા બાદ હવે તલોદના વેપારીઓએ પણ આગળ આવીને બંધને અનુસરવાની શરુઆત કરી છે. તલોદ શહેરનું બજાર એ આસપાસના વિસ્તારોમાં મોટુ બજાર માનવામાં આવે છે અને અહીં મોટી સંખ્યામાં સામાન્ય દિવસોમાં ભીડ ઉમટતી હોય છે. જોકે વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે હવે વેપારીઓએ પહેલ કરી છે.
તલોદના વેપારીઓએ શુક્રવાર બપોરથી જ બજારો બંધ કરવાની શરુઆત કરી છે. આમ 48 કલાકથી વધુનો સમય સતત બજારો બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત આગામી 30 એપ્રિલ સુધી બજારો માત્ર અડધો દિવસ પુરતા જ ખુલ્લા રહેશે. આમ વેપારીઓ દ્વારા માત્ર અડધો દિવસ જ ધંધા રોજગાર ખુલ્લા રાખ્યા બાદ બપોરથી દુકાનો બંધ કરી દેવામાં આવશે. પ્રથમ દિવસે જ સજ્જડતા પૂર્વક બજારો બંધ રાખવામાં આવ્યુ હતુ. આમ હવે લોકોએ સ્વંયભૂ કોરોના સામે લડાઈ લડવા જોડાવા લાગ્યા છે.
છેલ્લી 24 કલાક પ્રમાણે ગુજરાતની સ્થિતિ
રાજ્યમાં આજે 16 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8,920 કેસ નોંધાયા છે, જ્યારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 94 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 26(1 મૃત્યુ જિલ્લામાં), સુરતમાં 26 (2 મૃત્યુ જિલ્લામાં), રાજકોટમાં 13 (5 મૃત્યુ જિલ્લામાં), વડોદરામાં 9(1 મૃત્યુ જિલ્લામાં), જામનગરમાં 4 (2 મૃત્યુ જિલ્લામાં), મોરબીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, ડાંગ-સાબરકાંઠામાં બે-બે અને દ્વારકા-મહીસાગર-મહેસાણા-પંચમહાલ-વલસાડમાં માં એક-એક દર્દીનું કોરોનાને કારણે કરૂણ મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 5170 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,84,688 થઇ છે.
આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં પહેલીવાર કોરોનાના 9 હજાર નજીક નવા કેસ, 94 દર્દીઓના મૃત્યુ