ભાજપના રાજકોટ (Rajkot News) શહેરના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી ધુણતા જોવા મળ્યા. અરવિંદ રૈયાણીના વતન એવા ગુંદા ગામે રૈયાણી પરીવારનો માતાજીનો માંડવો યોજાયો હતો. દર વર્ષે યોજાતા આ માંડવામાં અરવિંદ રૈયાણી અચૂક હાજરી આપે છે. પરંતુ આ વર્ષે જે વિડિયો વાયરલ (Viral Video) થયો છે જેમાં અરવિંદ રૈયાણી ધુણતા જોવા મળ્યા હતા. એટલું જ નહી, અરવિંદ રૈયાણી શરીર પર સાંકળથી કોરડા વિંઝતા પણ દેખાયા. જેનો વિડિયો સોશીયલ મીડીયા પર વાયરલ થયો છે. મંત્રી અરવિંદ રૈયાણીની સાથે તાલુકા ભાજપ પ્રમુખ બાબુ નસીત પણ ધુણતા જોવા મળ્યા.
મંત્રીની શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજ્ય કક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી ધૂણ્યા #Rajkot #TV9News #Gujarat pic.twitter.com/jn9j92B5jU
— Tv9 Gujarati (@tv9gujarati) May 27, 2022
અહીં વાયરલ થયેલા વિડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, માંડવો ચાલી રહ્યો છે અને હજારો લોકોની મેદની પણ ભેગી થઈ છે. જેમાં અરવિંદ રૈયાણી ધુણતા જોવા મળી રહ્યા છે. અને શરીર પર જાડી સાંકળ મારતા જોવા મળી રહ્યા છે.
જાહેર જીવનમાં રહેતા અને સરકારમાં મંત્રીપદ ધરાવતા વ્યક્તિએ અંધશ્રદ્ધાથી બચવું જોઈએ. તેમજ લોકોને પણ અંધશ્રદ્ધાથી દુર રહેવાની સલાહ આપવી જોઈએ. ત્યારે વાયરલ થયેલા વિડિયોમાં રાજ્યકક્ષાના મંત્રી અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપી રહ્યા હોય તેવુ દેખાઈ રહ્યું છે. ગઈ કાલે ખોડિયાર માતાજીનો માંડવો યોજાયો હોય તેમાં અરવિંદ રૈયાણી ધુણતા જોવા મળ્યા હતા. ત્યારે આ સાથે જ કેટલાક સવાલો પણ ઉઠ્યા છે કે, રાજ્યકક્ષાના મંત્રી થઈને તેમની જવાબદારી શું હોઈ શકે ? એક મંત્રી માંડવામાં ધુણે તે કેટલું યોગ્ય ? સામાન્ય વ્યક્તિ ધુણે તો તેની એટલી નોંધ નથી લેવાતી હોતી. પરંતુ જ્યારે રાજ્ય કક્ષાના મંત્રી ધુણતા હોય ત્યારે તેમનું અનુકરણ કરનારા અનેક લોકો હોય છે. ત્યારે વાયરલ થયેલા વિડિયોથી સમાજમાં ખોટો સંદેશ નહી જાય ?
આ તરફ રાજ્યકક્ષાના પ્રધાન અરવિંદ રૈયાણીના ધૂણવાના મુદ્દે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. ધારાસભ્ય સી.જે. ચાવડાએ કહ્યું, ભાજપમાં એકથી એક ચડિયાતા ભૂવાઓ છે. ગુજરાત સરકારમાં મહત્વનો હોદ્દો ધરાવનાર વ્યકિત આવું કરે તે યોગ્ય નથી. અંધશ્રદ્ધા ઉભી થાય ત્યારે જનતાને નુકસાન થાય છે. ઉલ્લેખનીય છે કે, આ માંડવામાં અરવિંદ રૈયાણીની સાથે તાલુકા ભાજપ પ્રમુખ બાબુ નસીત પણ જોવા મળ્યા હતા.