RAJKOT : હડતાળ કરી રહેલા રેસિડન્ટ ડોક્ટરો અને આરોગ્ય કમિશ્નર વચ્ચેની વાતચીત વાયરલ, આરોગ્ય કમિશ્નરે અપમાન કર્યાના આક્ષેપો
ડોક્ટરોના કહેવા પ્રમાણે જ્યારે તેઓ સરકારને રજૂઆત કરવા માટે ગયા ત્યારે તેઓને ધમકાવવામાં આવ્યા હતા.પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો,ડીન અને HOD દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું.
RAJKOT : નોકરીમાં બોન્ડમાં ફેરફાર અને પગાર વધારાની માંગ સાથે છેલ્લા ત્રણ દિવસથી હડતાલ કરી રહેલા રેસિડન્ટ ડોક્ટરો ગત મંગળવારે 3 ઓગષ્ટે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેમાં આરોગ્ય કમિશનરે રેસિડન્ટ ડોક્ટરોનું અપમાન કર્યુ હોવાનો ડોક્ટરોએ આક્ષેપ કર્યો હતો.ડોક્ટરો જ્યારે આરોગ્ય કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે આરોગ્ય કમિશનરે “તમારી જીભ બહું ચડી ગઇ છે,બહું સાંભળ્યા છે,અધિકારી છો તેવી રીતે રહો” જેવા શબ્દો કહેતા ડોક્ટરોમાં રોષ જોવા મળ્યો હતો.
રાજકોટના 250 જેટલા રેસિડન્ટ ડોક્ટરો હડતાલમાં જોડાયા છે. ડોક્ટરોનું કહેવું છે કે જ્યારે કોરોનાની મહામારી હતી ત્યારે સરકાર દ્વારા 10 લાખનો બોન્ડ 40 લાખ કરી દેવામાં આવ્યો હતો અને 1 દિવસ નોકરી કરનારને બે દિવસ હાજરી ગણાશે તેવું કહ્યું હતું. જો કે રાજ્ય સરકારે આ બોન્ડમાં ફેરફાર કરતા હડતાળમાં ઉતરવું પડ્યું હતુ.ડોક્ટરોના કહેવા પ્રમાણે જ્યારે તેઓ સરકારને રજૂઆત કરવા માટે ગયા ત્યારે તેઓને ધમકાવવામાં આવ્યા હતા.પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો,ડીન અને HOD દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું.
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ આરોગ્ય પ્રધાન નિતીન પટેલે પણ હડતાળ કરી રહેલા રેસીડેન્ટ ડોકટરો સાથે શિક્ષાત્મક પગલાં લેવાની વાત કરી હતી, જેની સામે ડોક્ટરોએ કહ્યું કે એક તરફ રાજ્ય સરકાર હાલમાં કોરોનાનું એપેડેમિક બંધ થઇ ગયું હોવાનો દાવો કરે છે તો એપેડેમિક એક્ટ કઇ રીતે લાગું થાય તે મોટો સવાલ છે.
હડતાલને લઇને ડોક્ટરો મક્કમ છે. જ્યાં સુધી તેઓની માંગ નહિ સંતોષાય ત્યાં સુધી તેઓ હડતાલ ચાલુ રાખશે તેવો દાવો કર્યો હતો, એટલું જ નહીં, પણ રેસીડેન્ટ ડોકટરોએ આજે 5 ઓગષ્ટથી ઈમરજન્સી સેવાઓ પણ બંધ કરવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : SURAT : ત્રણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા સ્કુલે જનારા વિદ્યાર્થીઓની સંખ્યા એકાએક ઘટી
આ પણ વાંચો : JUNAGADH : ગાયના છાણમાંથી રાખડી બનાવી આત્મનિર્ભર બની રહી છે કોયલી ગામની મહિલાઓ