જાણીતા લેખક-વકતા જય વસાવડાના પિતા પ્રા.લલિતભાઈ વસાવડાનું દુઃખદ અવસાન
Lalitbhai Vasavada જૂનાગઢમાં એમની લેખન વકતૃત્વકળા માટે યુવાનીમાં સુપ્રસિદ્ધ હતા. જવાહરલાલ નેહરુના હાથે એમને સાહિત્યસર્જન માટે ચંદ્રક મળ્યો હતો.
Rajkot : જાણીતા લેખક વકતા જય વસાવડાના ઘડવૈયા અને વત્સલ પિતા નિવૃત્ત અધ્યાપક લલિતભાઈ વસાવડાનો રાજકોટ ખાતે એમના નિવાસસ્થાને ગત શરદ પૂનમની રાત્રિએ 20 ઓક્ટોબરના રોજ રાતના 11:25 કલાકે 85 વર્ષની વયે દેહવિલય થયો છે.
સદગતની પ્રાર્થનાસભા રાજકોટ ખાતે શુક્રવાર તા.22 ઓક્ટોબરના રોજ સવાણી હોલ, કોટેચા સર્કલ પાસે બપોરે 4 થી 6 દરમિયાન અને રવિવાર તા.24 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે પૂ. માધવપ્રિયદાસજીની નિશ્રામાં છારોડી ગુરુકુળ, SGVP કેમ્પસ, ,નિરમા યુનિવર્સિટી સામે, SGહાઇવે ખાતે સાંજે 5 થી 7 દરમિયાન રાખેલ છે.
લલિતભાઈ વસાવડા જૂનાગઢમાં એમની લેખન વકતૃત્વકળા માટે યુવાનીમાં સુપ્રસિદ્ધ હતા. જવાહરલાલ નેહરુના હાથે એમને સાહિત્યસર્જન માટે ચંદ્રક મળ્યો હતો. ત્યાર બાદ ભાવનગર અને પછી ગોંડલ ખાતે સ્થાયી થયા હતા. સ્વ.જયશ્રીબહેન સાથેના સ્નેહલગ્નના એકમાત્ર સંતાન તરીકે જય વસાવડાને એમણે રોજનું એક પુસ્તક આપી શાળાએ મોકલ્યા વિના વ્હાલથી ઘડતર કર્યું હતું.
મોટી ઉંમરે એમને જેનો હજુ કોઈ ઈલાજ નથી એવો પાર્કિંન્સન્સ રોગ થયો હતો. છતાં એ મોજથી જીવતા હતા. ગત દિવાળી પર કોરોનાને લડત આપી બેઠા થયા હતા. પણ છેલ્લા મહિનાઓમાં એસ્પીરેશનલ ન્યુમોનિયાને લીધે રાજકોટ વોકાર્ડ હોસ્પિટલમાં ICUમાં દાખલ થયા હતા. ત્યારબાદ ઘરે આનંદથી પાછા ફરેલા પણ હૃદય અને ફેફસાં નબળા પડેલા અને હઠીલું ઇન્ફેક્શન થયું હતું.
ડો. ચિરાગ માત્રાવડિયાની પારિવારિક હૂંફ સાથેની સારવારને જય વસાવડાના ભાવનામામીની કાળજી સાથે સેવા થકી પુત્રનો પ્રેમ અને પ્રગતિનું સુખ અનુભવી સદાય શાંત અને સાહિત્યકળારસિક સ્વભાવના સંભારણા સ્વજનોમાં મૂકી એમણે ચિરવિદાય લીધી છે.
આ પણ વાંચો : GTUના વેદ-ઉપનિષદ-ભારતીય વિદ્યાના અભ્યાસક્રમમાં 5 દેશોના વિદ્યાર્થીઓ સહીત 889 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો
આ પણ વાંચો : GANDHINAGAR : રસીકરણનો બીજો ડોઝ લેવામાં કોઇ બાકી ન રહે તેવા પુરતા પ્રયાસો કરાશે : ઋષિકેશ પટેલ