રાજકોટ( Rajkot)માં નંબર પ્લેટ વગરના વાહનો પર કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આદેશ કર્યો છે.પત્રકારો સાથેની વાતચીતમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતુ કે શહેરમાં નંબર પ્લેટ(Number plate)વગરના અનેક વાહનો ફરી રહ્યા છે જે ટ્રાફિકના નિયમ પ્રમાણે અયોગ્ય છે.કેટલીક વખત ગુનાહિત કૃત્ય માટે નંબર વગરના વાહનોનો ઉપયોગ થાય છે ત્યારે તેની ઓળખ મેળવવી મુશ્કેલ હોય છે,આથી શહેરના તમામ વાહનોમાં નંબર પ્લેટ ફરજીયાત રીતે લગાવવા પોલીસ કમિશનરે તાકીદ કરી છે.
ખાસ ડ્રાઇવ ચલાવી વાહનો ડીટેઇન કરાશે
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતુ કે ટ્રાફિક પોલીસ દ્રારા આ અંગે ડ્રાઇવ ચલાવવામાં આવશે અને જે લોકોએ પોતાના વાહનમાં નંબર પ્લેટ ન લગાવી હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.જરૂર પડીએ આવા વાહનચાલકોના વાહન ડિટેઇન કરીને તેને મોટો દંડ આપવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે.
ઇ મેમોથી બચવા લોકો નથી રાખતા નંબરપ્લેટ
રાજકોટમાં આઇ વે પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને ઇ મેમોના માધ્યમથી દંડ ફટકારવામાં આવે છે જેથી ઇ મેમોથી બચવા માટે કેટલાક લોકો દ્રારા પોતાના વાહનોમાં નંબર પ્લેટ રાખતા નથી.આ ઉપરાંત શહેરમાં રોમિયોગીરી કરતા કેટલાક આવારાતત્વો દ્રારા પણ નંબરપ્લેટના બદલે ડિઝાઇન અથવા કોઇ શબ્દો લખવામાં આવે છે..
સોની વેપારીને ફરાર થનારના વાહનમાં નહોતી નંબરપ્લેટ
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતુ કે ગુરૂવારે શહેરના કરણસિંહજી હાઇસ્કૂલ ખાતે સોની વેપારી સાથે થયેલી 25 લાખ રૂપિયાની છેતરપિંડીમાં જે વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમાં નંબર પ્લેટ ન હતી જેના કારણે તેની ઓળખ કરવી થો઼ડી મુશ્કેલ પ઼ડી હતી.ગેરકાયદેસર કામ કરનાર શખ્સો નંબર પ્લેટ વગરના વાહનનો લાભ ન લે તે હેતુથી પોલીસ આ નિયમને કડક બનાવવા જઇ રહી છે.
Published On - 9:01 pm, Fri, 9 July 21