ગુજરાતમાં (Gujarat) ચોમાસાનો (Monsoon) વરસાદ શરુ થયો છે. ચોમાસાની સિઝન આવે એ પહેલા પ્રિમોન્સુનના નામે ઘણી જગ્યા પર પાલિકા કે કોર્પોરેશન ગટરની લાઇન કે સ્ટ્રોમ વોટર લાઇનના કામ થતા હોય છે. જેથી લાઇન ચોકઅપ ન થાય, પણ પોરબંદરમાં તો વરસાદી (Rain) સિઝનમાં જ ખોદકામ કરવામાં આવ્યુ છે. જેના કારણે પોરબંદરમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ રહ્યો છે.
ચોમાસું શરુ થયુ હોવા છતા પોરબંદરમાં ખોદાયેલા રસ્તાઓ જોવા મળી રહ્યા છે. પ્રિમોન્સૂનની કામગીરી હજુ પણ ચાલુ છે. આ ખોદાયેલા ખાડાઓની આસપાસ નથી બેરિકેડ કે નથી ડાયવર્ઝન. ત્યારે ચોમાસામાં પણ પાલિકાની કામગીરી ચાલુ હોવાને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો વરસાદ પડે તો વરસાદી પાણીનો નિકાલ કેવી રીતે થશે તેવો પ્રશ્ન સામાન્ય જનતાને સતાવી રહ્યો છે. સાથે જ હવે ચોમાસુ બેસી ગયુ છે ત્યારે તેજગતિએ કામ થશે ત્યારે કામગીરીની ગુણવત્તા યોગ્ય હશે કે કેમ તેવા પણ સવાલો થઇ રહ્યા છે.
રાજ્યભરમાં વરસાદ પહેલા પ્રિમોન્સુનની કામગીરી કરવામાં આવતી હોય છે. પોરબંદર શહેરમાં પણ વરસાદી પાણીનો ભરાવો ન થાય માટે ટેન્ડરની પ્રક્રિયા થઇ અને ત્યારબાદ કામગીરી કોન્ટ્રાક્ટરને આપી તો દેવામાં આવી છે, પણ આ કામગીરી ચોમાસુ બેસ્યા પછી હજુ પણ ચાલુ છે. જેના કારણે પોરબંદરની જનતાને રાત્રે આ રસ્તાઓ પર નીકળતા પણ ડર લાગે છે. રાત્રિના સમયમાં આ ખાડામાં પડી જવાનો ડર લોકોને છે. કેમકે આ ખાડાઓની આસપાસ નથી ડાયવર્ઝન આપ્યુ કે નથી કોઇ વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો, કે ના કોઇ એક સિંગલ બેરીકેડ કે સાઇનબોર્ડ લગાવવામાં આવ્યુ. ત્યારે લોકોની આ ચિંતા સ્વાભાવિક જ છે.
પોરબંદર શહેરના બે મુખ્યમાર્ગ જેમાં એસ.વી.પી. રોડ અને એમ.જી. રોડ પર હાલ થોડા દિવસથી સ્ટોર્મ વોટર ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. ત્યારે વિપક્ષે આ કામગીરી નિયમ વિરુદ્ધ ટ્રાફિક ને અડચણ રૂપ હોવાના આક્ષેપ કર્યા છે. વિપક્ષ નેતા રામદે મોઢવાડિયાએ આક્ષેપ કર્યો છે કે કોઈપણ પ્રકારના બેરીકેટ કે આડસ વગર આ કામ માત્ર ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી કરવામાં આવી રહ્યુ છે.
પોરબંદર શહેર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ અને ભગવાન શ્રી કૃષ્ણના બાળ સખા સુદામાની નગરી હોવાથી અહીં પ્રવાસીઓનો પણ ધસારો હોય છે. ત્યારે ચોમાસા દરમિયાન કોઈ પણ વ્યક્તિ કે વાહનો ડ્રેનેજમાં પડશે તો જવાબદાર કોણ ? બીજી તરફ આ કામગીરી રાત્રીના સમયના બદલે દિવસે થતી હોવાથી ટ્રાફિક સમસ્યા પણ વકરી રહી છે.