અમદાવાદમાં (Ahmedabad) સાયન્સ સિટી (Science City ) ખાતે આયોજિત સાયન્સ મિનિસ્ટર્સ કોન્કલેવને (Science Ministers Conclave) આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વર્ચ્યુઅલી રીતે ખૂલ્લી મૂકી છે. દેશમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રના પડકારો અને રાજ્યોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 28 રાજ્યોના પ્રધાનો, 8 કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસકો અને 250થી વધુ ડેલીગેટ્સ કોન્કલેવમાં જોડાયા છે.
સાયન્સ મિનિસ્ટર્સ કોન્કલેવનું ઉદઘાટન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે, આ કોન્કલેવનું આયોજન ‘સબકા પ્રયાસ’નું યોગ્ય ઉદાહરણ છે.કોન્કલેવ દરમિયાન તેમણે જણાવ્યુ કે, આપણા જીવનમાં વિજ્ઞાનની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. તેથી જ વિજ્ઞાન અને તેની સાથે જોડાયેલા લોકોની ભૂમિકા મહત્વની હોવાનું તેમણે જણાવ્યુ હતુ. વડાપ્રધાને જણાવ્યુ કે, વિજ્ઞાને આપણને ગતિ આપી છે. તેથી જ અહીં આવેલા દરેક રાજ્યોના લોકોને મારી અપીલ છે કે વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિઓને ઉજવવી જોઇએ. આપણા વૈજ્ઞાનિકોનું આપણે ગૌરવગાન કરવુ જોઇએ.
વડાપ્રધાને જણાવ્યુ કે આજે જો ભારત કોરોનાની વેક્સીન શોધી શક્યુ છે, 200 કરોડથી વધુ વેક્સીન ડોઝ લગાવી શક્યુ છે, તો તેની પાછળ આપણા વૈજ્ઞાનિકોની ખૂબ જ તાકાત છે. આ રીતે જ આજે દરેક ક્ષેત્રમાં ભારતના વૈજ્ઞાનિક પોતાની કમાલ બતાવી રહ્યા છે. ભારતના વૈજ્ઞાનિકોની દરેક નાની મોટી સિદ્ધિને ઉજવવાથી દેશમાં વિજ્ઞાન પ્રત્યેનું વલણ આ અમૃતકાળમાં આપણા ખૂબ જ મદદરૂપ નીવડશે.
વડાપ્રધાને જણાવ્યુ કે, મને ખુશી છે કે આપણી સરકાર સાયન્સ બેઝ ડેવલપમેન્ટના વિચાર સાથે આગળ વધી રહી છે. 2014 પછી સાયન્સ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં રોકાણમાં પણ ઘણી વૃદ્ધિ થઇ છે. સરકારના પ્રયાસોથી આજે ભારત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં 46માં સ્થાન પર છે. જ્યારે 2015માં ભારત 81 નંબર પર હતુ. હવે આટલા ઓછા સમયમાં આપણે 81માં સ્થાન પરથી 46માં સ્થાન પર આવી ગયુ છે. આ વિજ્ઞાન અને આપણા વૈજ્ઞાનિકોની જ સિદ્ધિ છે.
મહત્વનું છે કે ‘અનુસંધાન સે સમાધાન’ની ટેગલાઈન સાથે વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો સંબંધિત નવી ટેક્નોલોજી અને જીવનની સરળતા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ આ કોન્કલેવમાં જોડાઇને નાગરિકોના જીવનને સરળ બનાવતા વિવિધ વિષયો અંગેની ચર્ચામાં સામેલ થયા છે.