ગુજરાતમાં 20 જિલ્લામાં બે હજારથી વધુ પશુઓના લમ્પીથી (Lumpy) મોત નિપજ્યા છે, ત્યારે લમ્પી વાયરસ પર એક અઠવાડિયામાં કાબૂ મેળવવાનો દાવો કરવામાં આવ્યા છે. રસીકરણ (Vaccination) પર ભાર અપાઈ રહ્યું છે, પરંતુ હજી સુધી પશુપાલકોને (Cattle breeders ) સહાયની કોઈ જાહેરાત થઈ નથી. પશુપાલકોની ઘટતી આવક સામે પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે તે મોટો પ્રશ્ન છે.
રાજ્યમાં લમ્પી વાયરસનો કેર વધી રહ્યો છે. રસીકરણમાં (Vaccine) તંત્રની બેદરકારીના આક્ષેપ સાથે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો છે. બીજીબાજુ સંક્રમણ ન અટકતા પશુપાલકો પણ મેદાને આવ્યા છે. ત્યારે મુખ્યપ્રધાને એક જ અઠવાડિયામાં લમ્પી વાયરસને કાબૂમાં લેવા સૂચના આપી છે. વિરોધ અને સમીક્ષા બેઠકો વચ્ચે પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લમ્પી વાયરસ નવો નથી ગત વર્ષે પણ 10 હજાર પશુઓમાં ફેલાયો હતો, પરંતુ પશુના મોત થયા ન હતા. એકતરફ લમ્પી વાયરસની ચિંતા પશુપાલકોને પરેશાન કરી રહી છે. ત્યારે રાજકોટના વીંછીયામાં લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની સારવાર ન થતા લોકો રોષે ભરાયા હતા. પશુઓની સારવાર માટે સરકારી તબીબ નહીં આવતા લોકોએ જસદણ-વીંછીયાનો રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો.
આ વર્ષે પંચમહાલ, દાહોદ અને મહીસાગર ત્રણેય જિલ્લા મળીને કુલ 203 કેસ સામે આવ્યા છે. પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડે કહ્યું કે લમ્પી વાયરસ નવો નથી. ગત વર્ષે પણ થયું હતું. લમ્પીના હાહાકાર વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે લમ્પીગ્રસ્ત પશુઓના આઈસોલેશન વોર્ડની મુલાકાત લીધી. સાથે અધિકારીઓ અને કૃષિપ્રધાન સાથે બેઠક કરી હતી તો એક અઠવાડિયામાં લમ્પી પર કાબૂ મેળવવાનો પણ દાવો કરાયો તો બીજીબાજુ પશુપાલકોને સહાય વિશે સવાલ કરાયો તો કૃષિપ્રધાને કહ્યું પહેલા લમ્પીગ્રસ્ત ગાયને બચાવવું જરૂરી છે.
વાત કરીએ વડોદરાની તો વડોદરામાં લમ્પીની રસી બે દિવસ અગાઉથી મુકવામાં આવી. તેમજ જીલ્લામાં અત્યાર સુધી ફક્ત 3000 પશુને રસી મુકવામાં આવી છે. ત્યારે તંત્રની બેદરકારી સામે કોંગ્રેસે રોષ ઠાલવ્યો છે. આમ એકતરફ લમ્પીનો ફફડાટ છે. પશુપાલકોને રાહત ક્યારે મળશે તેની રાહ જોવાઈ રહી છે, ત્યારે આ બીમારી સામે સહાય ચૂકવવાની પણ માગ થઈ રહી છે.
Published On - 11:54 pm, Sat, 6 August 22