CMએ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત જામનગર જિલ્લાની લીધી મુલાકાત, CMએ સારવાર અને રસીકરણ પર મુક્યો ભાર, મૃત પશુઓના યોગ્ય નિકાલ અંગે પણ કરી તાકીદ
Lumpy Virus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લમ્પીથી અસરગ્રસ્ત જામનગર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા, અહીં તેમણે લમ્પીગ્રસ્ત પશુઓની સારવાર માટે બનાવેલા આઈસોલેશન સેન્ટરલની મુલાકાત લઈ પશુધનને મળતી સુવિધા, સારવાર અને રસીકરણ કેન્દ્રના શેડ્સનું નિરીક્ષણ કર્યુ હતુ.
રાજ્યભરમાં હાહાકાર મચાવનારા લમ્પી વાયરસ (Lumpy Virus)ને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 56 હજારથી વધુ પશુઓ આ વાયરસની ચપેટમાં આવી ગયા છે તો અનેક પશુઓ મોતને ભેટ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી(CM) પણ પશુઓને અપાઈ રહેલી સારવાર પર ખુદ નજર રાખી રહ્યા છે, આજ સિલસિલામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) આજે જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા. રાજ્યમાં કચ્છ બાદ જામનગર(Jamnagar) જિલ્લામાં લમ્પી વાયરસનો સૌથી વધુ કેર જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જ અઠવાડિયામાં લમ્પી વાયરસને કાબુમાં લેવા તંત્રને સૂચના આપી છે.
જામનગરની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌપ્રથમ કોર્પોરેશન સંચાલિત લમ્પીગ્રસ્ત પશુઓના આઈસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પશુઓની સારવાર અંગે નિરીક્ષણ કર્યુ હતુ અને દવાઓ અંગે પણ જાણકારી મેળવી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે લમ્પી વાયરસના કારણે ઉદ્ભવેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલ, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, પશુપાલન ખાતાના સચિવ, નિયામક સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મુખ્યમંત્રીએ લમ્પી વાયરસને કેવી રીતે અંકુશમાં લેવો તે વિશે જરૂરી માહિતી અને સૂચના આપી હતી.
અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન રસીકરણ કરવા મુખ્યમંત્રીની સૂચના
જામનગરમાં લમ્પી વાયરસની સમીક્ષા અર્થે આવેલા સીએમએ જિલ્લામાં વધુને વધુ પશુઓના રસીકરણ પર ભાર મુક્યો હતો. મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તાર સિવાયના વિસ્તારોમાં પણ સઘન રસીકરણ હાથ ધરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે સારવાર કે રસીકરણ બાદ પણ પશુને દેખરેખ હેઠળ રાખી પશુની પુરતી કાળજી લેવાવી જોઈએ. સીએમએ બેઠકમાં અધિકારીઓને મૃત પશુઓના ઝડપી તથા યોગ્ય નિકાલ માટે તાકીદ કરી હતી. આ તકે મુખ્યમંત્રીએ જામનગર શહેરી વિસ્તાર, નગરપાલિકા તથા ગ્રામીણ વિસ્તારોમાં લમ્પી સ્કીન ડિસીઝ અંગેની વિગતો મેળવી હતી તેમજ કંટ્રોલરૂમ પર આવતા સારવાર માટેના ફોન કોલ્સ તથા જિલ્લામાં ઉપલબ્ધ રસીકરણના ડોઝ વિશે પણ માહિતી મેળવી હતી.
જિલ્લામાં 95 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ: રાઘવજી પટેલ
બેઠકમાં વિગતો આપતાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં લમ્પી વાયરસ વકર્યો ત્યારથી જ જિલ્લા વહીવટી તંત્ર યોગ્ય આયોજનો કરી રોગ પર નિયંત્રણ લાવવા શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યુ છે. તંત્રની જરૂરિયાત મુજબની તમામ માંગણીઓ પણ સરકાર દ્વારા પૂરી કરવામાં આવી છે. વાયરસ પર નિયંત્રણ આવે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગૌમાતાની રક્ષા માટે સરકારે તમામ સંસાધનો કામે લગાવ્યા છે, જેના પરિણામે દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતની સ્થિતિ ઘણી સારી છે. રાજ્યમાં 22 લાખથી વધુ પશુઓનું રસીકરણ પૂર્ણ કરાયું છે. રોગ ફેલાતો અટકે તે માટે અસરગ્રસ્ત વિસ્તારની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં પણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જામનગરમાં અત્યાર સુધીમાં 1 લાખ 10 હજાર 456 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. જિલ્લામાં કુલ 95 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.