ઉનાળો (Summer 2022) શરુ થતા જ ગુજરાતના (Gujarat) અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા રહેતી હોય છે. સિંચાઇનું પાણી ન મળતા ખેડૂતોનો (Farmer) પાક સુકાઇ જાય છે અને પાકને ભારે નુકસાન થાય છે. હવે પંચમહાલ- મહીસાગરના (Panchmahal-Mahisagar) ગ્રામ્યમાં પાનમ ડેમ આધારિત 130 કરોડના ખર્ચે પાનમ હાઇ કેનાલ બની છે. જેને કારણે ખેડૂતોની સિંચાઇના પાણીનું સમાધાન થયુ છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સિંચાઇનું પાણી મળવાથી પંચમહાલ અને મહીસાગરના 75 જેટલા ગામોના ખેડૂતોની સમસ્યા હલ થઇ છે. આ ખેડૂતોને તેમના ખેતરોમાં હવે લીલો પાક લહેરાવાની આશા છે.
પંચમહાલ અને મહીસાગર જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ને પાનમ ડેમ આધારિત સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે રૂ. 130 કરોડના માતબર ખર્ચે પાનમ હાઇ લેવલ કેનાલ બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા 75 ગામોના 18000 હેક્ટર વિસ્તારને સિંચાઇનું પાણી પૂરું પાડવા માટે 35 કિલોમીટર લાંબી મુખ્ય કેનાલ અને 70 કિલોમીટરની માઇનોર કેનાલ બનાવવાનું આયોજન છે. હાલમાં જુદી જુદી માઇનોર કેનાલો મળીને 40 કિલોમીટર માઇનોર કેનાલોનું કામ પૂર્ણ થયુ છે. આ કેનાલ થકી 48 ચેકડેમમાં પાણી ભરવાનું તેમજ આ વિસ્તારના 75 જેટલા કુવા રિચાર્જ કરાશે અને કમાન્ડ વિસ્તારના 62 તળાવોને પાણીથી ભરવામાં આવશે.
આ કેનાલ થકી જળાશયોને ભરવાનું કામ શરુ કરી દેવામાં આવ્યુ છે. પાનમ હાઇ લેવલ કેનાલ મારફતે ગોધરા, શહેરા તાલુકાના ખેડૂતોને સિંચાઇનું પાણી મળતા ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી નહીં પરંતુ અન્ય સિઝનમાં પણ પોતાના ખેતરમાં પાક લેતા થયા છે. પાનમ કેનાલ મારફતે મળતાં સિંચાઈના પાણી દ્વારા આ વિસ્તારના ખેડૂતોના ખેતરમાં ઉનાળા તેમજ શિયાળુ પાક પણ લહેરાતો થયો છે. તો બીજી તરફ આ વિસ્તારના ચેકડેમ અને કુવાઓમાં પણ ભૂગર્ભ જળ સ્તર ઉંચુ આવતા પાણીનું સંકટ હતું તે દૂર થયું છે. એટલુ જ નહીં પશુઓ માટે પણ પાણીની સમસ્યા દૂર થઇ છે.
બીજી તરફ પાનમ કેનાલના પાણી આવતા ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવ્યા છે. કુવામાં પણ પાણી આવતા થયા છે. જેના કારણે નાના નાના સ્થળોની પાણીની સમસ્યા દૂર થતી થઇ છે. સાથે જ હવે ખેડૂતો વરસાદ આધારિત ખેતીના સ્થાને શિયાળુ અને ઉનાળુ પાક પણ ઉત્સાહ સાથે લેતા થયા છે. સરકારની આ યોજના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો માટે આશીર્વાદ સમાન બની છે.