કેન્દ્ર સરકારના સહયોગથી ગુંજેરાતના(Gujarat) પંચમહાલ (Panchmahal) જિલ્લાના અંતરિયાળ ગ્રામીણ તેમજ વન પ્રદેશમાં વસતા લોકોનું જીવન ધોરણ ઊંચું આવે અને તેઓ દ્વારા વન વિસ્તારમાંથી એકત્ર કરવામાં આવતી વનપેદાશોનું સાચું મૂલ્ય મળી રહે તેમજ આ વેન પેદાશોના વેચાણ માટે હાલમાં રહેલા વચેટીયાઓની નાબુદી માટે જિલ્લામાં પ્રધાનમંત્રી વન ધન વિકાસ યોજના (PMVDY) અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં કુલ 10 વનધન વિકાસ કેન્દ્રો (VDVK) શરુ કરવામાં આવશે. આ વનધન કેન્દ્ર સાથે 15 સ્વ સહાય જૂથને (SHG) જોડવામાં આવશે. એક સ્વ સહાય જૂથમાં 20 સભ્યોને રાખવામાં આવનાર છે જેમાં 60% અનુસૂચિત જાતિના લોકો માટે રિઝર્વ રાખવામાં આવશે. સ્વસહાય જૂથોની નિમણુંક વન વિભાગ દ્વારા કરવામાં આવનાર છે. પંચમહાલ જિલ્લામાં હાલ આ પ્રકારના સ્વસહાય જૂથો બનાવવા માટેની કામગીરી વન વિભાગ દ્વારા શરુ કરી દેવામાં આવી છે.
પંચમહાલ જિલ્લામાં વનપેદાશોનું વન વિસ્તારમાંથી એકત્રીકરણ કરીને તેને વેચી પોતાની આજીવિકા ચાલવતા અસંખ્ય પરિવારો વસે છે જેઓને હાલ વન વિસ્તારમાંથી એકત્ર કરેલી વનપેદાશોનું વેચાણ સ્થાનિક વેપારીઓને કરવામાં આવે છે જ્યાં તેઓને તે વનપેદાશનું સાચું મૂલ્ય મળતું નથી ત્યારે પ્રધાનમંત્રી વનધનવિકાસ યોજના હેઠળ આવા તમામ લોકોને આવરી લઈને તેઓને તેમના દ્વારા એકત્ર કરવામાં આવેલી વનપેદાશોનું સાચું અને યોગ્ય મૂલ્ય મળે તેમજ તેઓ તે વનપેદાશોમાંથી અન્ય ચીજવસ્તુઓ પણ પોતાના ઘર આંગણે જ બનાવતા થાય તેવા ઉમદા હેતુ સાથે આ યોજનાની શરુઆત કરવામાં આવી છે. 1 વનધન વિકાસ કેન્દ્ર ખાતે પ્રોસેસિંગ યુનિટ તેમજ વનપેદાશોમાંથી અન્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન કરી શકાય તેવા યુનિટ ની સ્થાપના કરવામાં આવશે.
1 વનધન વિકાસ કેન્દ્રને સરકાર દ્વારા 15 લાખ રૂપિયાની સ્ટાર્ટઅપ સહાય આપવામાં આવનાર છે. સાથે સાથે વન વિભાગ અને ભારત સરકારના ટ્રાયબલ કો-ઓપરેટીવ માર્કેટિંગ ડેવલોપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વનધન વિકાસ કેન્દ્ર ખાતે એકત્ર થતા વનપેદાશો તેમજ ઉત્પાદિત થતી ચીજવસ્તુઓના વેચાણ માટે પણ ફ્લિપકાર્ટ , એમેઝોન , જીએમઈ જેવી ઈ કોર્મસ કંપનીઓ સાથે જોડાણ કરવામાં આવશે જેથી વિશ્વ ફલક પર આ વનપેદાશોનું વેચાણ થઈ શકે . આ યોજનાના અમલીકરણ માટે પંચમહાલ જિલ્લા વન વિભાગ (નોર્મલ)ને રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ યોજના થકી જિલ્લામાં વન પેદાશોનું એકત્રીકરણ કરીને આજીવિકા મેળવતા પરિવારોને સાચા મૂલ્ય સાથે વિશાળ બજાર પણ ઉપલબ્ધ થશે જેને લઈને આ પરિવારોનું જીવન ધોરણ ઊંચું આવશે તેમજ તેમની મહેનતનું સાચું પરિણામ પણ તેઓ મેળવતા થશે.
પંચમહાલ જિલ્લામાં 685 સ્કવેર કિમી જેટલો વન વિસ્તાર આવેલો છે, જેમાંથી બહોળા પ્રમાણમાં વનપેદાશો મળી આવે છે. આ વન વિસ્તારમાંથી ટીમરૂ પાન, મહુડો,સીતાફળ,કડાસીંગ,ખાખરા,કેસુડાના ફૂલ,જંગલી વનસ્પતિના બીજ,અરીઠા તેમજ મધ જેવી વનપેદાશો મળી આવે છે. આ વન પેદાશોનું આ વન વિસ્તારો નજીક વસવાટ કરતા લોકો દ્વારા એકત્રીકરણ કરવામાં આવે છે અને તેનું વેચાણ સ્થાનિક વેપારીઓ પાસે કરવામાં આવે છે જેને લઈને આ વનપેદાશોનું એકત્રીકરણ કરતા પરિવારોને આ વનપેદાશોનાં સાચા ભાવ મળતા નથી.
પ્રધાનમંત્રી વનધન યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં 10 વનધન વિકાસ કેન્દ્રો શરુ કરવામાં આવનાર છે ત્યારે આ વનધન વિકાસ કેન્દ્રો શરુ કરવા માટે સચોટ બિઝનેશ પ્લાન તેમજ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને વન વિભાગને આપવાનો રહેશે. વન વિભાગ દ્વારા સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ આવા કેન્દ્રોને મન્જુરી આપવામાં આવશે. આ કેન્દ્રો માટે અલગથી બિલ્ડિંગની પણ જોગવાઈ કરવામાં આવેલી છે જ્યાં આ કેન્દ્ર શરુ કરવામાં આવશે. આ કેન્દ્ર ખાતે આવતી વનપેદાશોનાં વેચાણ માટે સરકાર દ્વારા વિશાળ માર્કેટ પ્લેસ પૂરું પાડવામાં આવશે તેમજ 15 લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવશે.
પંચમહાલ જિલ્લામાં પ્રધાનમંત્રી વનધન વિકાસ યોજનાં અમલમાં આવી છે, જેના થકી જિલ્લાના વનપેદાશો એકત્રીકરણ કરતા તમામ પરિવારોને આવરી લેવામાં આવશે, જેઓને હાલ વનપેદાશોનાં યોગ્ય મૂલ્ય મળતા નથી આ યોજના થકી તેઓને સાચા મૂલ્યો ઘર આંગણે જ મળતા થશે.જિલ્લા વન વિભાગ દ્વારા આ યોજના માટે વનધન વિકાસ કેન્દ્ર તેમજ સ્વસહાય જૂથોની રચના કરવાની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. હાલમાં જિલ્લાના જાંબુઘોડા ખાતે આ યોજનાને લઈને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનિકો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી અને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : Jamnagar : ભાજપે નમો કિસાન પંચાયત યોજી, સરકારની યોજનાઓ વિશે સમજ આપી
આ પણ વાંચો : અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપેલા કબુતરબાજીના રેકેટમાં વધુ ખુલાસા, 78 પાસપોર્ટ અને બેંકના સ્ટેમ્પ મળ્યા
Published On - 9:58 pm, Sun, 20 February 22