Amit Shah Gujarat Visit: અમિત શાહે પંચામૃત ડેરી ખાતે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો, કહ્યુ- આગામી 5 વર્ષમાં સહકાર ક્ષેત્રે મોટી ક્રાંતિ થશે
અમિત શાહે (Amit Shah) જણાવ્યુ કે જો સહકારની અંદર સહકાર આવે તો પરિણામ કેવુ હોય તેનું આ ઉદાહરણ છે. તેઓએ જણાવ્યું કે આગામી 5 વર્ષમાં વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રે મોટી ક્રાંતી આવશે જેનો લાભ તમામ ખેડૂતો અને પશુપાલકોને મળશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) ગુજરાતના (Gujarat) પ્રવાસે છે, ત્યારે આજે અમિત શાહ વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. અમિત શાહે ગોધરા ખાતે પંચામૃત ડેરીના ઓક્સિજન પ્લાન્ટ તેમજ પંચમહાલ જિલ્લા સહકારી બેંકના નવનિર્મિત મુખ્ય કાર્યાલયનું લોકાર્પણ કર્યું. આ ઉપરાંત ગોધરામાં પંચામૃત ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યુ અને ત્યારબાદ પંચામૃત ડેરીમાં ફરીને નીરિક્ષણ કર્યુ. તેઓએ તાડવા ખાતેના પંચામૃત બટર કોલ્ડ સ્ટોરેજ, મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે પંચામૃત ડેરીના નવા પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ. સાથે જ મહારાષ્ટ્રના માલેગાંવ ખાતેના પંચામૃત ડેરીના પ્લાન્ટ, પંચામૃત ડેરીના ગોલ્ડન જ્યુબિલી લોગોનું પણ અનાવરણ કર્યુ.
અમિત શાહે કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, પંચમહાલ ડીસ્ટ્રીક્ટ કો. ઓ. બેંક દેવા નીચે હતી. નાબાર્ડે તેને બંધ કરવાનું સૂચન કરતો પત્ર મોકલ્યો હતો. જો કે આજે પંચમહાલ ડીસ્ટ્રીક્ટ કો. ઓ. બેંક 4 વર્ષથી બધા પ્રતિબંધોથી બહાર આવી, બધુ દેવુ ચુકવી, આજે નફો કરતી થઇ ગઇ છે. અમિત શાહે જણાવ્યુ કે જો સહકારની અંદર સહકાર આવે તો પરિણામ કેવુ હોય તેનું આ ઉદાહરણ છે. તેઓએ જણાવ્યું કે આગામી 5 વર્ષમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રે મોટી ક્રાંતી આવશે જેનો લાભ તમામ ખેડૂતો અને પશુપાલકોને મળશે.
પંચામૃત ડેરીની ખાસિયતની વાત કરીએ તો તે 3 જિલ્લા પંચમહાલ, મહીસાગર અને દાહોદ સાથે સંકળાયેલી છે. પંચામૃત ડેરી થકી જીલ્લાના ખેડૂતો અને પશુપાલકો આત્મનિર્ભર બન્યા છે. પંચામૃત ડેરીમાં વર્ષ 2008-09 માં 4,03,000 દૂધ ઉત્પાદન થતું હતુ. વર્ષ 2021-22 માં દૂધ ઉત્પાદન વધીને 17,45,000 થયું. વર્ષ 2008-09 માં દૂધ સંઘનું વાર્ષિક ટર્ન ઓવર 366 કરોડ હતું. વર્ષ 2021-22 માં દૂધ સંઘનું વાર્ષિક ટર્ન ઓવર 3,230 કરોડ થયું. વર્ષ 2008-09 માં પશુપાલકોને દર 10 દિવસે 7 કરોડ રકમ ચૂકવાતી હતી. જ્યારે વર્ષ 2021-22 માં પશુપાલકોને દર 10 દિવસે 64 કરોડ ચૂકવાયા.
પંચામૃત દૂધ સંઘની વિવિધ યોજનાઓ
દૂધાળા પશુ ખરીદીમાં 85 હજાર 626 પશુઓ માટે સહાય આપવામાં આવે છે. દૂધ મંડળીઓને AMCS માટે 1156 મંડળીઓને સહાય આપવામાં આવે છે. દૂધ મંડળીઓ માટે મિલ્કો ટેસ્ટીંગ મશીન 629 મંડળીઓને આપ્યા છે. દૂધ મંડળીઓને નવીન દૂધઘર બાંધકામ માટે 500 મંડળીઓને સહાય આપવામાં આવે છે. દૂધ મંડળીઓને ગોડાઉન બાંધકામ માટે 140 મંડળીઓને સહાય આપવામાં આવે છે.
દૂધ મંડળીઓને બલ્ક કુલર સ્થાપના માટે 452 મંડળીઓને સહાય અપાય છે. મીની ડેરી ફાર્મ યોજના હેઠળ 1526 લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે. પાડી-વાછરડી યોજના હેઠળ 1312 લાભાર્થીઓને સહાય, તો 12 દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપવાની યોજના હેઠળ 799 લાભાર્થીને સહાય અપાય છે.