ગુજરાતના ચારને બદલે 20 શહેરોમાં રાત્રી કરફ્યુ, રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે
ગુજરાતની સરકારી કચેરીઓ એપ્રિલ મહિનામા હવે બીજા અને ચોથા શનિવારને બદલે તમામ શનિવારે બંધ રહેશે. લગ્ન પ્રસંગે 50ની મંજૂરી, તમામ પ્રકારના રાજકીય કાર્યક્રમોને મંજૂરી નહી.
ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ અનુસાર કેટલાક પગલા લેવાયા હોવાની જાહેરાત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી છે. ગુજરાતમાં અત્યાર સુધી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર શહેરમાં જ રાત્રે 9 વાગ્યાથી બીજા દિવસે સવારના 6 વાગ્યા સુધીનો કરફ્યુ હતો. પરંતુ હવે ચારને બદલે, ગુજરાતના વીસ શહેરમાં રાત્રી કરફ્યુ અમલમાં રહેશે. કરફ્યુની મુદતમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાતના આઠેય મહાનગરપાલિકા ઉપરાંત મોટા શહેરોનો પણ સમાવેશ કર્યો છે. રાત્રે 8થી સવારે છ વાગ્યા સુધી આવતીકાલથી કરફ્યુનો અમલ 30 એપ્રિલ સુધી રહેશે. લગ્નમાં 10 એપ્રિલથી 100થી વધુ લોકો ભેગા નહી થઈ શકે. તમામ રાજકીય અને સામાજીક મેળાવડા 30 એપ્રિલ સુધી સ્થગિત કરવાનો નિર્ણય કર્યા છે.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ઉપરાંત, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં પણ રાત્રીના આઠ વાગ્યાથી બીજા દિવસના સવારના છ વાગ્યા સુધીનો કરફ્યુ રહેશે. ગુજરાતના આઠ મહાનગર ઉપરાંત આંણદ, નડીયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, ભરુચ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ રાત્રે 8 વાગ્યાથી બીજા દિવસના સવારના છ વાગ્યા સુધી કરફ્યુ ચાલુ રહેશે.
આ વીસ શહેરોમાં આગામી 30મી એપ્રિલ સુધી રાત્રી કરફ્યુનો અમલ ચાલુ રહેશે. તમામે તમામ 20 શહેરોમાં આવતીકાલ તારીખ 7મી એપ્રિલને બુધવારના રોજથી જ રાત્રી કરફ્યુનો અમલ ચાલુ થશે. લગ્ન પ્રસંગમાં અત્યાર સુધી 200ની પરવાનગી આપવામાં આવતી હતી. જેમાં 100નો કાપ મૂકીને હવેથી 100 લોકોની મંજૂરી આપવામાં આવશે
કોઈ પણ દર્દીને દાખલ કરવા કે નહી કરવા તેનો નિર્ણય તબીબ જ કરશે પણ એક પણ દર્દીને સારવાર વિના ના રહે તેવી વ્યવસ્થા ગોઠવી હોવાનુ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ હતું. ગુજરાતની વિવિધ સરકારી કચેરી અત્યાર સુધી બીજા અને ચોથા શનિવારે બંધ રહેતી હતી તે હમણા એટલે કે એપ્રિલ મહિનાના દર શનિવારે બંધ રહેશે. એપીએમસી ખાતે લોકોની ભીડ થતી હોય છે ત્યા ભીડ એકઠી ના થાય તે માટે અગાઉની એસઓપીનો અમલ કરાશે.
માસ્ક પહેરવાના કાયદાનો કડક અમલ થાય તેવી સુચના ગૃહ વિભાગને આપી હોવાનો ઉલ્લેખ કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, ગાંધીનગર મહાનગરપાલિકા અને અને મોરવાહડફમાં વિધાનસભાની એક બેઠકની પેટા ચૂંટણી છે ત્યા ચૂંટણીપંચની એસઓપી મુજબ કામગીરી કરવામાં આવશે. સામાજીક મેળાવડામાં 50થી વધુની મંજૂરી નહી અપાય. એપ્રિલ મહિનામાં ચારેય શનિવારે સરકારી કચેરીઓ બંધ રહેશે.