નવસારી(Navsari) જિલ્લો લાંબા સમયથી કોરોના (Corona) મુક્ત રહયા બાદ ફરીવાર અહીં કોરોનાએ માથું ઉચક્યું છે. લાંબા સમયની રાહત બાદ ગુરુવારે કોરોનના 5 પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે જેને લઇને આરોગ્ય વિભાગે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. નવસારી જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 12 પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે ત્રીજી લહેર બાદ નવસારીમાં કોરીનાએ વિદાય લીધી હોય તેલ લાગી રહ્યું હતું. જોકે ફરી સામે આવી રહેલા સંક્રમણના મામલાઓ ચિંતા વધારી રહયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 5 મામલાઓ સામે આવતા આરોગ્યવિભાગ દોડતું થયું છે. આ સામે સંક્રમિતોની તબિયત ચિંતાજનક સ્તરે ન હોવાથી રાહત પણ મળી છે.
કોરોના સંક્રમણના મામલા ત્રીજી લહેર બાદ લગભગ ફેબ્રુઆરી મહિનાથી ઘટતાં રહ્યા હતા અને ઘણો સમય એકપણ પોઝટિવ કેસ નોંધાયો ન હતો. ઘણા સમયથી લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને અલવિદા કહી દીધું હતું.જોકે ફરી કેસની સંખ્યા વધવા લગતા ચિંતા વધી છે. ગુરુવારે નોંધાયેલા પાંચ કેસ પૈકી 3 દર્દીઓના હોમ આઈસોલેશનની સુવિધા ન હોવાથી આરોગ્ય વિભાગે આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી રહી છે. આ પાંચ દર્દીઓ પૈકી 3 દર્દીઓ 18 વર્ષ સુધીના છે ત્યારે આરોગ્ય વિભાગ સાથે શિક્ષણ વિભાગમાં પણ ચિંતા ફેલાઈ છે. જિલ્લામાં કોરોના માથું ઉચકી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિએ રસીકરણ સાથે કોરોના ગાઇડલાઇનના પાલન માટે સક્રિય રહીને જિલ્લાને ફરીવાર કોરોના મુક્ત રાખવામાં આરોગ્ય વિભાગ મદદરૂપ થવું જરૂરી થઈ પડ્યું છે.
ગુરુવારે જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર દેશમાં એક દિવસમાં 12,213 નવા કેસ નોંધાયા છે. હવે દૈનિક પોઝિટિવ રેટ વધીને 2.35 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 7,624 રિકવરી નોંધાઈ છે અને હવે સક્રિય કેસ 58,215 છે. ઘણા રાજ્યોમાં ચેપનો દર વધ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં જ્યાં એક જ દિવસમાં કેસ 36 ટકા વધીને 4024 થઈ ગયા છે. ગઈકાલે રાત સુધી ભારતમાં બુધવારે 8641 કેસ નોંધાયા હતા પરંતુ કેટલાક રાજ્યોમાંથી ડેટાની રાહ જોવાઈ રહી હતી.આ રાજ્યોમાં કેરળનો સમાવેશ થાય છે, જ્યાં 1950 કેસ નોંધાયા હતા. સાત દિવસથી અહીં કેસ વધી રહ્યા છે. આ પહેલા મંગળવારે દેશમાં 8828 કેસ નોંધાયા હતા. ફરીએકવાર કોરોના ગાઈડલાઇનનું પાલન કરવું જરૂરી જણાઈ રહ્યું છે.
Published On - 7:48 am, Fri, 17 June 22