હવે રાજ્યમાં લમ્પી વાઇરસનો કહેર વધતો જાય છે. નવસારી(Navsari) જિલ્લામાં આજ સુધી લમ્પી વાઇરસ(Lumpy Virus) નો એકપણ કેસ નોંધાયો નથી. જિલ્લા પશુપાલન વિભાગ લમ્પી વાઇરસના સંક્રમણને ફેલાતું અટકાવવા અગમચેતી સાથે સતર્ક બન્યું છે. નવસારી જિલ્લા પશુપાલન વિભાગ દ્રારા કંટ્રોલ રૂમ શરૂ કરવાં આવ્યો છે સાથે પશુઓમાં બીમારીના લક્ષણ દેખાય તો ટોલ ફ્રી નંબર 1962 નો તાત્કાલિક સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.નવસારીના નાયબ પશુપાલન નિયામક ડો.એમ.સી.પટેલે પશુઓમાં ફેલાયેલા રોગચાળા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં ૨,૩૧,૫૪૪ ગાય અને ૬૧,૮૦૫ ભેંસ મળી કુલ ૨,૯૩,૪૦૯ પશુધન છે. નસવારી જિલ્લામાં પચ્ચીસ (૨૫) ટીમો બનાવીને સર્વે, રોગના લક્ષણના અટકાયતી પગલાં તેમજ રોગ અંગે જાગૃતિ ફેલાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ડો. પટેલે વધુમાં જ્ણાવ્યુ હતું કે પશુ પાલકોએ પશુપાલન વિભાગ દ્રારા અપાતી સુચનાઓને ગંભીરતાથી લેવી જોઈએ . મચ્છર, ઇતરડી, માખીઓનો ઉપદ્રવ અટકાવવા જંતુનાશક દવાઓનો છંટકાવ નિયમિત કરવો જોઈએ. લમ્પી સ્કીન ડીસીસના લક્ષણો જણાય તો પશુને સુરક્ષિત રાખવાની કાળજી લેવા મહત્તમ પ્રયત્નો હાથ ધરવા તેમણે ઉમેર્યું હતું.
લમ્પી સ્કીન ડીસીસના મુખ્ય લક્ષણોમાં પશુઓના સંપૂર્ણ શરીર પર ગાંઠ જેવા નરમ ફોલ્લા પડે છે. પશુને સામાન્ય તાવ સાથે મોઢામાંથી લાળ પડે છે. બીમાર પશુ તરફથી દુધ ઉત્પાદન ઘટી જાય છે. પશુ ખાવાનું બંધ કરી દે અથવા તેને ખાવામાં તકલીફ પડે તો કેટલાક સંજોગોમાં પશુ મૃત્યુ પણ પામે છે.
તંત્ર અનુસાર પશુઓને આ રોગથી સુરક્ષિત રાખવા આ કાળજી લેવી જરૂરી છે. પશુઓને ગંદકી ઉકરડા થી દુર રાખવા, જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જેથી માખી, મચ્છર અને ઇતરડીથી રાહત મળે છે. જ્યારે પશુઓમાં લમ્પી વાઇરસના લક્ષણ જણાય તો સૌપ્રથમ સ્વસ્થ પશુઓથી અલગ કરવું અને ચરવા માટે છુટું મુકવું નહીં. પશુપાલકે નજીકના પશુદવાખાના અથવા હેલ્પ લાઇન નંબર ૧૯૬૨ નો સંપર્ક કરવા જણાવાયું છે. રોગગ્રસ્ત પશુઓનું સ્થળાતંરણ સંમ્પૂર્ણ બંધ કરવા સૂચના અપાઈ છે. અન્ય જિલ્લાઓમાંથી પશુની હેરફેર ન કરવા પણ જણાવાયું છે. આ ઉપરાંત વરસાદી પાણીનો ભરાવો ન થાય તેની કાળજી રાખવા સલાહ આપવામાં આવી છે.
ગુજરાતમાં અત્યાર સુધી 20 જિલ્લામાં 57,677 પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે. જેમાંથી 41065 પશુઓ સ્વસ્થ થયા છે. જયારે 1639 પશુઓના મોત થયા છે. જયારે 14973 પશુઓની સારવાર અને ફોલોઅપ ચાલુ છે. આજરોજ નવા નોંધાયેલા 1727 કેસ પૈકી સૌથી વધુ જામનગરમાં 413, રાજકોટ જિલ્લામાં 363, કચ્છ જિલ્લામાં 301, દ્વારકા જિલ્લામાં 291 અને બાકીના સાત જિલ્લામાં ઓછા કેસ નોધાયેલ છે.
Published On - 9:08 am, Wed, 3 August 22