Ganesh Chaturthi 2022 : શ્રીજી આજથી 10 દિવસનું આતિથ્ય માણશે, વાજતે ગાજતે શ્રીજીની શાહી સવારી પંડાલોમાં પહોંચી
ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓની માંગમાં વધારો થયો છે. પ્રકૃતિના જતન સાથે ઉત્સવની ઉજવણી કરવા માટે માટી, કુદરતી રંગ ,અને ઘાંસનો ઉપયોગ કરી પ્રતિમાઓ બનાવવામાં આવી છે જે વિસર્જન બાદ પણ જળાશયોમાં રહેતા જીવોને નુકસાન પહોંચાડશે નહિ.

શ્રાવણ માસની વિદાય સાથે શિવપુત્રના આતિથ્યના પર્વ ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi)ના પર્વનો આજથી પ્રારંભ થયો છે. શ્રીજીને આવકરવાનો ઉત્સાહ અને ઉમંગ નવસારી (Navsari)ના માર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા રૂપે છલક્યો હતો. નવસારીમાં બે વર્ષ બાદ આ વર્ષે ગણેશોત્સવ સાર્વજનિક રૂપે ઉજવાઈ રહ્યો છે ત્યારે ગણેશ ભક્તોમાં બમણો ઉત્સાહ જોવા મળ્યો છે. પોળ ,ખડકી , શેરીઓ, સોસાયટીઓ, ફ્લેટ અને ટાઉનશિપમાં ગણેશ પંડાલો તૈયાર થઈ ગયા છે. આજે ગણેશ ચતુર્થીના પર્વે ગણેશ પ્રતિમાનોની સત્તાવાર સ્થાપના કરી 10 દિવસ શ્રીજીનું પૂજન અર્ચન કરવામાં આવશે.
નવસારી જિલ્લામાં બનતી ગણેશ પ્રતિમાઓની માંગ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રહે છે. વર્ષોથી નવસારી આવતા બંગાળ કારીગરો સહિતના મૂર્તિકારો વિશેષ પ્રકારની માટીનો ઉપયોગ કરતા ગણેશ મંડળોએ મોટી સંખ્યામાં મૂર્તિ બુક કરી આજે અંતિમ દિવસે DJ નાં તાલે પ્રતિમાઓ પોતપોતાના મંડળ સુધી લઈ જઈ રહ્યા છે. ડી.જે., લાઇટિંગ અને બેન્ડ સાથે વિવિધરૂપ, રંગ, સ્વરૂપ અને આકારમાં છેલ્લા બે ત્રણ દિવસથી શ્રીજીની સવારીઓનું વિવિધ ગણેશ મંડળો દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે પધરામણી કરવામાં આવી રહી છે.
મુખ્ય માર્ગો જાણે ગણેશમય બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કતારબદ્ધ મંડળો દ્વારા શ્રીજી પ્રતિમાઓની ડી.જે. , આકર્ષક લાઇટિંગ અને આતશબાજી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દ્રશ્યો નિહાળવા શહેરીજનોએ મુખ્ય માર્ગોની આસપાસ પડાવ નાખતા મધરાત સુધી માનવ મહેરામણ શ્રીજી શોભાયાત્રા વચ્ચે છલકાતું રહ્યું હતું.
બંગાળી કલાકારો છેલ્લા દુર્ગા મહોત્સવ માટે માટીની મૂર્તિઓનું નિર્માણ કરતા હતા. દુર્ગા મહોત્સવ સાથે ગણેશજીની પ્રતિમાના ઓર્ડર પણ મળતા હવે આ કારીગરો દ્વારા શ્રીજીની મૂર્તિઓનું પણ નિર્માણ કરાઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળથી મે મહિનાથી કારીગરોએ ભરૂચમાં મૂર્તિ બનાવવાની શરૂઆત કરે છે.આ મૂર્તિકારો ગંગા અને નર્મદા સહિતની નદીની માટીમાંથી ફક્ત ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું જ નિર્માણ કરે છે. જેમાં રંગ પણ કુદરતી જ વાપરવામાં આવે છે. આ વખતે બજાર અને લોકોમાં ભારે ઉત્સાહ વચ્ચે મૂર્તિઓની માંગ વધુ જોવા મળી રહી છે.
ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓની માંગમાં વધારો થયો છે. પ્રકૃતિના જતન સાથે ઉત્સવની ઉજવણી કરવા માટે માટી, કુદરતી રંગ ,અને ઘાંસનો ઉપયોગ કરી પ્રતિમાઓ બનાવવામાં આવી છે જે વિસર્જન બાદ પણ જળાશયોમાં રહેતા જીવોને નુકસાન પહોંચાડશે નહિ.