ગુજરાતના નર્મદા જિલ્લામાં રાજપીપલાના(Rajpipla) ઐતિહાસિક વારસા અને માઁ હરસિદ્ધિના મંદિર(Maa Harisidhi) પરિસરમાં ચાલી આવતી નવરાત્રિની (Navratri 2022) પરંપરા વિશે વાત કરતા રાજવી પરિવારના રૂકમણીદેવી ગોહિલે જણાવ્યું હતું કે, માતાજીનું મૂળ મંદિર ઉજ્જૈનમાં છે ત્યાંથી અહીંયા વેરીશાલજી મહારાજ માતાજીને લાવ્યા હતા. વેરીશાલજી મહારાજની પ્રતિમાનું ગયા વર્ષે જ મંદિર પરિસરમાં અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. રાજપીપલાનું મંદિર વેરીશાલજી મહારાજે બંધાવ્યું હતું, કદાચ રાજપીપળા માતાજીને વધારે પસંદ હતું એટલે તેઓ અહીં રોકાઈ ગયા હતા અને ત્યારથી આ મંદિર અહીં આવેલું છે. વેરીશાલજી મહારાજથી લઈને અંદાજે 421 વર્ષ થયા ત્યારથી સતત મંદિરમાં રાજવી પરિવાર દ્વારા પૂજા કરવામાં આવે છે.
જેથી નવરાત્રી દરમિયાન અહીં આઠમનું ખૂબજ મહત્વ રહેલું છે. માઁ હરસિદ્ધિના મંદિર પરિસરમાં વીર વેતાળ અને મહાબળેશ્વર મહાદેવનું સ્થાન પણ બનાવાયું હતું. રાજપીપલાના માઁ હરિસિદ્ધિના આ મંદિરે હાલમાં પણ લોકો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાંથી લાખો ભાવિકો દર્શનાર્થે આવે છે. અહીં તેમની મનોકામના પૂર્ણ પણ થાય છે. તે વખતના રાજવી પરિવાર દ્વારા આસો સુદ નૌમના દિવસે મંદિર પરિસરમાં નવચંડી યજ્ઞ અને હવનનું આયોજન કરવામાં આવતું હતું. જે પરંપરા આજે પણ ચાલી આવે છે. પ્રતિ વર્ષ રાજવી પરિવારના મોભી રઘુવિરસિંહ ગોહિલ આ યજ્ઞમાં હાજરી આપે છે. સાથોસાથ આ સ્થાનક પર વર્ષોથી યોજાતા ભાતીગળ મેળામાં લોકો મ્હાલવા પણ આવે છે.
નૌમનો હવન પણ થાય છે. હવે અહીંયાના યુવક મંડળ(રાજપૂત સમાજ) દ્વારા નવરાત્રિમાં છઠના દિવસે તલવાર આરતી પણ કરવામાં આવે છે. તે પહેલાં રાજવંત પેલેસ ખાતેથી રાજવી પરિવારની આગેવાનીમાં રાજપૂત સમાજ દ્વારા તલવાર રેલી યોજી મંદિર સુધી લઈ જવામાં આવે છે. માઁ હરસિદ્ધિનું અનેરૂં મહત્વ છે અને બહુ જ ચમત્કારી માતાજી છે, એટલે જ આપણે જે પણ ઈચ્છા રાખી હોય તે ભક્તો તેમની સમક્ષ લઈને જાય તો તે માતાજી અવશ્ય પૂરી કરે છે.
હિન્દુ દેવસ્થાન ટ્રસ્ટ રાજપીપલાના ટ્રસ્ટી ભાસ્કરભાઈ સોનીએ મંદિરના મહાત્મય અને ભાતીગળ મેળાની પરંપરા અંગે જણાવ્યું હતું કે, રજવાડી અને ઐતિહાસિક નગરી રાજપીપલામાં બિરાજમાન માઁ હરસિધ્ધિના શક્તિપીઠનું એક વિશેષ આકર્ષણ રહેલું છે. લાખોની સંખ્યામાં ભક્તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાંથી નવરાત્રીના નવ દિવસ માટે બાધા આખડી પૂરી કરવા અને પોતાની માનતા પરિપૂર્ણ કરવા માઁના દરબારમાં લાખોની સંખ્યામાં ઉમટી પડે છે.
મંદિરના મહાત્મ્ય વિશે વાત કરતા ટ્રસ્ટી ભાસ્કરભાઈ જણાવે છે કે, દરેક મંદિરમાં આરતી સવારે અને સાંજે એમ બે વખત કરવામાં આવે છે. પરંતુ માઁ હરસિદ્ધિના મંદિરમાં ત્રણ વખત આરતી થાય છે. સવારે, સાંજે અને રાત્રે 12 કલાકે આરતી થાય છે, જેનો અનોખો મહિમા રહેલો છે. એક વિશિષ્ટ પરંપરા રાજવી પરિવાર સાથેની છે, તેમના કુળદેવી છે એટલા માટે રાજવી પરિવાર વારંવાર આ મંદિરોના દર્શન-મુલાકાત પણ લે છે. નૌમના નવચંડી યજ્ઞામાં રાજવી પરિવાર દ્વારા આયોજન કરવા સાથે વિજયા દશમીના દિવસે પરંપરાગત રીતે રાજવી પરિવાર દ્વારા શસ્ત્રપૂજા પણ કરવામાં આવે છે. મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે પ્રતિ વર્ષ રાજપીપલાના જ એક ભક્ત દ્વારા નવરાત્રીમાં આઠમના દિવસે ભક્તો માટે ફરાળી નાસ્તાની સુવિધા કરવામાં આવે છે, આ વર્ષે 1800 કિલો જેટલા નાસ્તાની આઠમના દિવસે વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ મંદિર પરિસરની બહાર યોજાયા ભાતીગળ મેળા વિશે તેઓએ જણાવ્યું કે, હાલમાં મેળામાં દરરોજ જુદા જુદા વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં આવે છે. વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પગપાળા સંઘો પણ આવે છે. આ મેળામાં કોઈને તકલીફ ઊભી ન થાય તે માટે સરકારની મેડિકલ ટીમ પણ હાજર રાખવામાં આવે છે. મંદિર પરિસરમાં ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આ નવરાત્રિના ગરબાનો લાભ લે છે.
રાજપીપળા હરસિદ્ધિ મંદિર પરિસરના ગરબાનો લાભ લેવો એ જીવનનો આનંદ બની જાય તેવું છે. સરકારની ગાઈડલાઈન મુજબ મનોરંજનના જુદા જુદા પ્રકારના ચકડોળ તેમજ દુકાનો માટે સ્ટોલ ઊભા કરવામાં આવે છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મેળાના આયોજનમાં ખૂબ સારો સહયોગ આપવામાં આવે છે. તો રાજપીપલા નગરપાલિકા તરફથી રસ્તાઓ સુંદર બનાવીને સફાઈ, દવા-પાણીના છંટકાવની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
Published On - 7:31 pm, Tue, 4 October 22