Narmada: ડેડિયાપાડામાં બુલડોઝર ફર્યું, જૂના મોસદા રોડ પર દબાણ કરેલા ઓટલા અને દુકાનો પર તવાઈ બોલાવાઈ
પાલીકાની ટીમે સવારે 9:00 વાગ્યાથી ડિમોલિશનની કામગીરી શરૂ કરી દીધી હતી. ડિમોલિશન શરૂ છતાં આ રસ્તાપર દબાળ કરનારા વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી.
નર્મદા (Narmada) જિલ્લાના ડેડિયાપાડામાં શહેરના ચાર રસ્તાથી સરકારી હોસ્પિટલ (Government Hospital) ડેડીયાપાડા સુધીના દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ડિમોલીશન (demolition) માં રોડ માર્જીનથી 12 ફૂટ સુધીના દબાણો જેવા કે ઓટલા શેડ દૂર કર્યા હતા. આ કાર્યવાહીના કારણે અંદર રસ્તા પર દબાણ કરીને ચણી દેવાયેલા ઓટલા નાની કાચી પાકી દુકાનો અને કેબીનો ઉપરાંત વર્ષોથી લારી લઈને ધંધો કરતા લોકો પર તવાઈ બોલાવવામાં આવી હતી. જોકે જે લોકોની રોજગારીના અખોઆખી જગ્યા જ દબાણ દૂરવામાં નાશ પામી છે તેમણે રોજગારીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરી છે.
ડેડીયાપાડામાં જૂના મોસદા રોડ પર ખૂબ જ મોટા પ્રમાણમાં દબાણ કરાયાં હતાં. આ રોડ એટલો સાંકડો થઈ ગયો હતો કે તેના પરથી એમ્બ્યુલન્સને પણ જવાનો રસ્તો નહોતો મળતો. આ રસ્તા પર વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જ દેખાતા જેથી આ મુદ્દો સંકલન સમિતિની મિટિંગમાં પણ ચર્ચા કરવામાં આવી હતી અને તે બાબતે ફરિયાદ પણ થઈ હતી. આર એન્ડ બીના વિભાગ દ્વારા પણ અગાઉ બે થી ત્રણ વખત નોટિસ ફટકારી હતી પરંતુ દુકાનદારોએ ધ્યાનમાં લીધી ન હતી જેથી આજે તંત્રએ સપાટો બોલાવ્યો હતો.
જૂના મોસદા રોડ સવારથી જ બુલડોઝર સાથે સરકારી ગાડીઓની અને પોલિસ ની ગાડીઓની લાઈન ઉતરી આવી હતી અને પાલીકાની ટીમે સવારે 9:00 વાગ્યાથી ડિમોલિશનની કામગીરી શરૂ કરી દીધી હતી. ડિમોલિશન શરૂ છતાં આ રસ્તાપર દબાળ કરનારા વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી. લોકો પોતાનો માલ સામન સુરક્ષિત સ્થળ ખસેડવા લાગ્યા હતા. કેટલાક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો પણ પોલીસ બંદોબસ્ત સાથે હોવાથી નારાજ હોવા છતાં એક પણ વ્યક્તિ વિરોધ કરી શક્યો નહોતો. કેટલાક લોકોએ તો બુલડોઝર ફરે તે પહેલાં સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હતા. સાંજ 6 વાગ્યા સુધી આ કામગીરી ચાલુ રહી હતી.
ડેડીયાપાડા જૂના મોસદા રોડ પર સરકારી દવાખાનું પણ આવેલું છે ત્યાં હોસ્પિટલ સુધી 108ને પહોંચવામાં પણ મુશ્કેલી પડતી હતી જેના કારણે અવારનવાર સંકલન સમિતિમાં આ બાબતે ફરિયાદ થતી હતી. આ ફરિયાદોના પગલે આજે ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જોકે આ ડિમોલિશનના કારણે રસ્તા પર નાના-નાના વ્યવસાય કરનાર લોકોની આજીવીકા છીનવાઈ ગઈ હતી. રસ્તાની બાજુમાં ચાની નાનકડી હોટલ ચલાવચા વેપારીએ કહ્યું હતું કે તંત્ર દ્વારા મારી હોટલ તોડી પાડવામાં આવતાં મારી આજીવિકાનું સાધન છીનવાઇ ગયું છે. સ્વરોજગાર કરી હું મારૂ અને મારા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હવે મારા પરિવારના ભવિષ્યની ચિંતા ઉદભવી છે. તંત્ર હવે અમને રોજગાર માટે કોઇ વૈકલ્પિક જગ્યા આપે તો અમારા પરિવારનું ગુજરાન થઇ શકે.