નર્મદા (Narmada) જિલ્લાનું કેવડિયા હાલ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના (Statue Of unity) કારણે પ્રવાસીઓનું મન પસંદ સ્થળ બની ગયુ છે. અગાઉ નર્મદામાં અમદાવાદથી ખૂબ ઓછા સમયમાં વધુથી વધુ સહેલાણીઓ કેવડિયા આવી શકે તે માટે સી પ્લેન (Sea plane) સેવા શરુ કરવામાં આવી હતી. જે હાલ બંધ હાલતમાં છે. ત્યારે એકતાનગર ખાતે ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ સી પ્લેન એરોડ્રામની મુલાકાત લીધી હતી. એરોડ્રામને ડેવલોપ કરવાની વિચારણા અંતર્ગત તેમણે આ સ્થળની મુલાકાત કરી હતી. સાથે જ આ પ્રસંગે તેમણે અરવલ્લી ખાતે પદયાત્રીઓને નડેલા અકસ્માત બાબતે મંત્રીએ દુખ વ્યક્ત કર્યુ હતુ.
ગુજરાત સરકારના ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ એકતાનગર ખાતે બનેલા સી પ્લેનના એરોડ્રામની મુલાકાત લીધી હતી. એકતાનગર ખાતે છેલ્લા ઘણા સમયથી અમદાવાદથી એકતાનગર ખાતે આવતું સી પ્લેન બંધ છે. આ સી-પ્લેનના એરોડ્રામ ખાતે નવા ડેવલપમેન્ટ અને નવી જેટીના નવા બાંધકામના સ્થળનું નિરીક્ષણ કરવા માટે મંત્રી પૂર્ણેશ મોદીએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન સી પ્લેન જેટી ખાતે વિકલાંગો માટે નવો રેમ્પ બનાવાનો છે, સી પ્લેન જેટીનું વિસ્તરણ પણ કરવાનું છે, જેનું પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
આવનારા સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવવાની શક્યતા છે. જેથી અહીં પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તેના માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. સી પ્લેન બાબતે તેમણે કહ્યું હતું કે, હજુ કામકાજ ચાલુ છે. આવનારા સમયમાં પ્રવાસીઓ આનો લાભ લઈ શકશે. તો સાથે જ મુલાકાત દરમિયાન તેમણે અરવલ્લીમાં અંબાજી જતા પદયાત્રીઓના અકસ્માત મામલે તેમણે દુખ સાથે જણાવ્યુ કે, અકસ્માત એ અકસ્માત છે, એમાં જે ઘટતું કરવાનું થતું હશે તે અમે કરીશું.
મહત્વનું છે કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી પદયાત્રાએ જતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. કૃષ્ણાપુર નજીક કારે અડફેટે લેતા સાત પદયાત્રિકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા. જ્યારે કાર ચાલક સહિત 9 પદયાત્રી ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને માલપુરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયા છે. અકસ્માતનો ભોગ બનેલા 7 પૈકી 2 મૃતકો કાલોલના અલાલી ગામના વતની હોવાનું સામે આવ્યું છે.