નર્મદા (Narmada) જિલ્લાના કેવડિયા (Kevadiya) માં દેશના વિવિધ રાજ્યોના પર્યાવરણ પ્રધાનોની બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા વર્ચ્યૂઅલી કરવામાં આવ્યુ. વીડિયો કોન્ફરન્સ (Conference) દ્વારા પ્રધાનમંત્રીએ કોન્ફરન્સને સંબોધી. આ કોન્ફરન્સ લાઈફ સ્ટાઈલ ફોર એન્વારમેન્ટ થીમ ઉપર યોજાઈ છે. પર્યાવરણ કોન્ફરન્સમાં તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. ઉપરાંત આ કોન્ફરન્સમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ હાજર રહ્યાં હતા.
વડાપ્રધાને જણાવ્યુ કે એકતાનગરમાં રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન એ એક મહત્વપૂર્ણ બાબત છે. વન અને પર્યાવરણ ક્ષેત્ર માટે એકતાનગર એક તીર્થ સ્થાન બની ગયુ છે. વડાપ્રધાને પર્યાવરણ પ્રધાનોને જણાવ્યુ કે, ભારત આગામી 25 વર્ષ માટે અમૃત કાળ માટે નવા લક્ષ્ય બનાવી રહ્યુ છે. મને વિશ્વાસ છે કે તમારા પ્રયાસોથી પર્યાવરણની રક્ષામાં પણ મદદ મળશે અને ભારતનો વિકાસ પણ એટલી જ ઝડપથી થશે.
વડાપ્રધાને જણાવ્યુ કે, આજનું ભારત નવા વિચારો સાથે આગળ વધી રહ્યુ છે. ભારત નિરંતર પોતાની ઇકોલોજીને મજબુત કરી રહ્યુ છે. દેશમાં જંગલ ક્ષેત્રમાં વધારો થયો છે. વેટ લેન્ડસ પણ વધી રહી છે.આપણે દુનિયાને જણાવી દીધુ છે તે રિન્યુએબલ એનર્જીના મામલામાં અમારી સ્પીડ અને સ્કેલને ભાગ્યે જ કોઇ મેચ કરી શકે. મોટા મોટા પડકારોને પહોંચી વળવા ભારત આજે દુનિયાને ટક્કર આપી રહ્યુ છે. પોતાના કમિટમેન્ટને પુરા કરવાના ટ્રેક રેકોર્ડને કારણે જ દુનિયા આજે ભારત સાથે જોડાઇ રહી છે.
વીતી ગયેલા વર્ષોમાં વાઘ, સિંહ, હાથી, ગેંડા અને દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે. મધ્ય પ્રદેશમાં ચિત્તાના આગમનથી લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જેનાથી લોકોમાં જીવદયાના સંસ્કાર પણ છલકાતા જોવા મળ્યા. આ સમયે એવુ લાગી રહ્યુ હતુ જાણે લોકોના ઘરોમાં તેમનું પોતાનું કોઇ પ્રિય મહેમાન આવ્યુ હોય. આ આપણા દેશની એક તાકાત છે. પ્રકૃતિ સાથે સમતોલન જાળવવાનું કામ આપણે નિરંતર ચાલુ રાખવાનું છે. આવનારી પેઢીને પણ સંસ્કારિત કરવાની છે.
2070 સુધીમાં આપણે નેટ ઝીરોનો ટાર્ગેટ રાખ્યો છે. ગ્રીન ગ્રો પણ હાલ ગ્રોથ પણ છે. ત્યારે દરેક લક્ષ્યોની પ્રાપ્તિ માટે દરેક રાજ્યોના પર્યાવરણ મંત્રાલય ભૂમિકા ખૂબ મોટી છે. સમય સાથે લોકોમાં એવી માનસિકતા આવી કે પર્યાવરણ મંત્રાલયની ભૂમિકા રેગ્યુલેટર તરીકે વધુ છે. પણ હું સમજુ છુ કે પર્યાવરણ મંત્રાલયનું કામ રેગ્યુલેટરથી પણ વધારે પર્યાવરણને પ્રોત્સાહિત કરવાનું છે. દરેક કામ જેનાથી પર્યાવરણની રક્ષા થાય તેમાં પર્યાવરણ મંત્રાલયની ભૂમિકા મોટી છે. બીજી તરફ ભારતીય સંસ્કૃતિ હંમેશા પ્રકૃતિની પોષક રહી છે શોષક નહીં.
વડાપ્રધાને અમદાવાદમાં જ્યારે સાબરમતી નદી પાણીથી ભરપૂર રહેતી હતી અને ગાંધીજી સાબરમતી આશ્રમમમાં રહેતા હતા તે સમયનું ઉદાહરણ આપતા જણાવ્યુ કે, સાબરમતી નદીમાં ભરપૂર પાણી હોવા છતા ગાંધીજી જો કોઇને પાણી બરબાદ કરતા જોતા, તો તેને ટોક્યા વિના રહેતા નહીં. આ સાથે જ વડાપ્રધાને પર્યાવરણ મંત્રાલયોને સરક્યુલર ઇકોનોમીને વધુમાં વધુ પ્રોત્સાહન આપવા જણાવ્યુ હતુ. પર્યાવરણ મંત્રાલયોને દેશની બાયો ફ્યુઅલ પોલીસીમાં પણ આગળ વધવા જણાવ્યુ.
પર્યાવરણ મંત્રાલય અન્ય મંત્રાલયોને પણ દિશા આપી શકે છે. જેમ કે કૃષિ મંત્રાલય સાથે મળીને ટપક સિંચાઇ પદ્ધતિનું મહત્વ વધારે. શિક્ષા મંત્રાલય અને પર્યાવરણ મંત્રાલયે પણ સાથે મળીને કામ કરવુ જોઇએ. જેમ કે, વિદ્યાર્થીઓને શાળામાં વૃક્ષો વિશે શિક્ષણ આપવાનું હોય તો, બગીચામાં લઇ જવા, ગામની બહાર જે વૃક્ષો છે ત્યાં લઇ જવા વૃક્ષો અને ફુલ છોડની ઓળખાણ અપાવવી. જેનાથી બાળકોમાં પર્યાવરણ પ્રત્યો જાગૃતતા આવશે.
અર્બન નક્સલવાદને લઈ પીએમ નરેન્દ્ર મોદીએ પીએમ મોદીએ વિરોધીઓ પર નિશાન સાધ્યું. નર્મદાના કેવડિયામાં પર્યાવરણપ્રધાનોની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં પીએમ મોદીએ અર્બન નક્સલવાદનો ઉલ્લેખ કરીને વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા. દિલ્લીથી વર્ચ્યુઅલ સંબોધન કરતા તેમણે કહ્યું કે- અમે જોયું છે કે પર્યાવરણની મંજૂરીના નામ પર દેશમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામને કેવી રીતે ગૂંચમાં મૂકી દેવાતું હતું. એકતાનગર આંખો ઉઘાડનારું ઉદાહરણ છે. અર્બન નક્સલોએ, વિકાસ વિરોધીઓએ સરદાર સરોવર યોજનાને રોકીને રાખી હતી.
વડાપ્રધાને કહ્યુ કે, સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ દેશ આઝાદ થયો ત્યારે કરાયું હતું. તેમાં સરદાર વલ્લભભાઈ પટેલે મહત્વની ભૂમિકા નીભાવી હતી અને પંડિત નેહરુએ તેનો શિલાન્યાસ કર્યો હતો.પરંતુ તમામ અર્બન નક્સલીઓ મેદાનમાં આવી ગયા અને એવો અપપ્રચાર કર્યો. જેના કારણે જે કામ નેહરૂજીએ ચાલું કર્યું હતું તે કામ મારા આવ્યા બાદ પૂરું થયું અને આજે એ જ એકતાનગર પર્યાવરણનું તીર્થ ક્ષેત્ર બની ગયું છે.
Published On - 12:00 pm, Fri, 23 September 22