ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ એટલે કે એસટીમાં ઓનલાઈન ટિકિટ બુક (online ticket booking) કરી જે તે ડેપો મેનેજરના યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લઈ કાગળ ઉપર રૂટ કેન્સલ બતાવી ટિકિટના નાણાં રિફંડ મેળવવાના કૌભાંડના તાર વાંકાનેર એસટી ડેપો (Wankaner) સુધી લંબાયા છે. બે કૌભાંડી એજન્ટ દ્વારા વાંકાનેર ડેપોને રૂપિયા 1.44 લાખથી વધુનું નુકસાન પહોંચાડતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં એસટી વિભાગને નુકસાન પહોંચે તેવું કૌભાંડ આચરી એસટીના માન્ય બુકીંગ એજન્ટો દ્વારા પહેલા ટિકિટ બુક કરાવી બાદ કોઈપણ રીતે જે તે ડેપોના ડેપો મેનેજરના યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લઈ બુકીંગ કરાયેલ બસની ટ્રીપ કાગળ ઉપર રદ કરી નાખી ટિકિટના નાણાંનું રિફંડ મેળવી લઈ નવતર પ્રકારની છેતરપિંડી આચરવામાં આવતી હોવાનું રાજ્ય વ્યાપી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જે અંતર્ગત વાંકાનેર એસટી ડેપોને પણ ભેજા બાજ એજન્ટોએ નુકશાન પહોંચાડતા વાંકાનેર એસટી વિભાગના મહિલા અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વધુમાં ટિકિટ કેન્સલ કરી રીફંડ મેળવવા અને ટ્રીપ કેન્સલ કરવાના આ કૌભાંડમાં સંજય આર. બારીયા જેના યુઝરઆઈડી GSSANJAYR અને વિપુલભાઈ ભગાભાઇ મોહનીયા જેના યુઝરઆઇડી GS MOHANIYA નામના વ્યક્તિઓ દ્વારા જાન્યુઆરી-2022થી મે-2022 દરમિયાન વાંકાનેર એસટી ડેપોની અંદાજે 600થી વધુ ટિકિટ રદ કરી ડેપો મેનેજરના યુઝર આઈડી પાસવર્ડ મેળવી બસના રૂટ કેન્સલ કરી કુલ રૂપિયા 1,44,482નું નુકશાન પહોચાડ્યું હોવાનું જણાવી વાંકાનેર એસટી ડેપોમાં ફરજ બજાવતા કવિતાબેન મલયભાઈ ભટ્ટ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 409, 420,34 તથા આઈ.ટી.એકટ કલમ 66(સી) તથા 66(ડી)મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.