મહેસાણા (Mehsana) જિલ્લાના કડીમાં ત્રિરંગા રેલી દરમિયાન એક ગાયે હુમલો કર્યો હતા. આ ઘટનામાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને (Former Deputy Chief Minister Nitin Patel) ઇજાગ્રસ્ત થયા છે. જો કે સારવાર બાદ તેમને રજા આપી દેવામાં આવી છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટના બાદ નીતિન પટેલે નિવેદન આપ્યુ છે કે, અચાનક ગાય ત્રિરંગા યાત્રામાં દોડતી આવી હતી અને ટોળામાં ઘુસી ગઈ હતી. દોડા દોડમાં લોકોનો ધસારો મારા પર આવ્યો અને હું પડી ગયો હતો. મારા સિવાય પણ ચાર પાંચ લોકો આ ઘટનામાં પડી ગયા હતા.
મહેસાણા જિલ્લાના કડીમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. નીતિન પટેલની અધ્યક્ષતામાં સમગ્ર ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ ત્રિરંગા યાત્રા કડીના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થઇ હતી. જ્યારે આ ત્રિરંગા યાત્રા કડીના બજારમાંથી નીકળી રહી હતી, ત્યારે અચાનક જ એક ગાય ત્રિરંગા યાત્રામાં ઘુસી ગઇ હતી. આ ઘટનામાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત અન્ય પાંચ લોકો પડી ગયા હતા. ગાયે અચાનક કરેલા હુમલામાં નીતિન પટેલને ઢીંચણના ભાગમાં ઇજા થઇ હતી. જે પછી ઇજાગ્રસ્ત નીતિન પટેલને સારવાર અર્થે તાત્કાલિક કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે હોસ્પિટલમાં તેમને સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી છે.
હોસ્પિટલમાંથી રજા આપી દીધા બાદ નીતિન પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, આજે કડીમાં ભાજપની તિરંગાયાત્રા હતી અને શહેરના 70 ટકા વિસ્તારમાં આ રેલી ફરી હતી. જો કે કરણપુર શાક માર્કેટ નજીક અચાનક ગાય દોડતી આવી અને ટોળામાં ઘુસી ગઈ હતી. અચાનક દોડાદોડી થતા લોકોનો ધસારો મારા પર આવ્યો હતો અને હું પડી ગયો હતો. મારા સિવાય પણ ચાર પાંચ લોકો પડી ગયા હતા. જે પછી આજુ બાજુના કાર્યકરોએ અને પોલીસે મને ઘેરી લીધો અને ગાયને બાજુમાં કાઢી હતી. જો કે પછી મારાથી ઊભુ થઇ શકાયુ ન હતુ. જેથી કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં મે એક્સ રે કરાવ્યો હતો. તેમાં ઢીંચણના ક્રેક દેખાઈ છે. સીટી સ્કેન કરાવ્યા પછી ડોક્ટરે મને 20 દિવસનો આરામ કરવા કહ્યુ છે. નીતિન પટેલે એમ પણ જણાવ્યુ કે, ”રાજ્યમાં રખડતા ઢોરનો પ્રશ્ન ચિંતાજનક છે,આજની યાત્રામાં ગાય ક્યાંથી આવી તે ખ્યાલ નથી. હાલના તબક્કે ગૌચરનો અને રખડતા ઢોરનો પ્રશ્ન ઉચિત નથી”
નીતિન પટેલને ઇજા પહોંચી હોવાના સમાચાર મળતા જ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. ઘટનાના પગલે સ્થાનિક આગેવાનો નીતિન પટેલના ખબર અંતર પુછવા માટે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા.
વારંવાર રખડતા ઢોરના હુમલાના કારણે અનેક લોકોને ઇજા પહોંચે છે. ઘણા લોકોને તો પોતાના અંગો પણ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આજે સરકારના જ એક નેતાને ગાયે અડફેટે લીધા છે. અમદાવાદ, વડોદરા, પોરબંદર સહિત અનેક સ્થળોએ વારંવાર રખડતા ઢોરોએ લોકોને અડફેટે લીધાના સમાચાર સામે આવેલા છે. તો ઘણા લોકોએ તો રખડતા ઢોરના હુમલાના કારણે પોતાના હાથ કે આંખો ગુમાવી હોવાના કિસ્સા છે. તો ઘણા લોકોએ તો પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે રખડતા ઢોરના આતંકને ડામવા વહીવટી તંત્ર દ્વારા કોઇ કડક પગલા લેવામાં આવે તે આવશ્યક બન્યુ છે.
અગાઉ ગુજરાત સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ કાયદો લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે માલધારી સમાજના ઉગ્ર વિરોધ બાદ આ કાયદાના અમલ પર રોક લગાવી દેવામાં આવી હતી. ત્યારે આ ઘટના બાદ ફરીથી લોકોમાં રખડતા ઢોરોને કાબુમાં લેવા કડક કાર્યવાહી થાય તેવી માગ ઉઠી છે.
(વીથ ઇનપુટ-મનીષ મિસ્ત્રી, મહેસાણા)