Mehsana: 17 વર્ષે ગંભીર પીડામાંથી મુક્ત થયો નીરવ, કરોડરજ્જુની સમસ્યા અને ચાલવામાં થતી પીડામાંથી મળી મુક્તિ
નીરવ ચૌધરીના પિતા ગામમાં ખેતીકામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. સ્થાનિક તબીબના કહેવાથી દર્દીના માતા-પિતા તેને આગળની સારવાર માટે નૂતન જનરલ હોસ્પિટલ વિસનગર ખાતેના ઓર્થોપેડિક વિભાગમાં લઈ ગયા હતા.
મહેસાણાના વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલના તબીબોએ 17 વર્ષથી પીડાતા નીરવની સર્જરી કરીને તેને નવજીવન આપ્યું હતું. તબીબોના પ્રયાસને કારણે ખેડૂત પુત્ર નીરવ ચૌધરીને નવું જીવન પ્રાપ્ત થયું હતું અને તે ગંભીર પીડામાંથી મુકત થયો હતો. આ કિશોર તબીબી ભાષામાં કાઇફોસ્કોલિયોસિસની સમસ્યાથી પીડાતો હતો વળી ખાનગી હોસ્પિટલમાં 3થી 5 લાખના ખર્ચે થતી આ જટીલ સર્જરી આયુષ્યમાન કાર્ડ હેઠળ ખેડૂત પરિવારના દીકરા માટે સંપૂર્ણપણે નિ:શુલ્ક રહી હતી.
ધોરણ 10માં અભ્યાસ કરતો નીરવ 17 વર્ષે ગંભીર પ્રકારની પીડામાંથી મુક્ત થયો
કહેવાય છે ને કે ડોક્ટર એ ભગવાનનો બીજો અવતાર છે આ વાતને વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલના તબીબોએ સાર્થક કરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપરિટેન્ડેન્ટ અને જાણીતા સ્પાઈન સર્જન ડૉ.જે.વી.મોદી અને તેમની ટીમે ખેડૂત પૂત્રને નવું જીવન આપ્યું છે.
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના તાલાગઢ ગામનો ધોરણ -10માં અભ્યાસ કરતો 17 વર્ષીય કિશોર નીરવ ચૌધરી જન્મથી જ કરોડરજ્જુમાં વિકૃતિ અને ચાલવાની તકલીફથી પીડાઈ રહ્યો હતો. મધ્યમ વર્ગના આ પરિવારે દીકરાને સાજો કરવા અને તેને પીડા મુક્ત કરવા માટે અમદાવાદ અને પાલનપુરના અનેક તબીબોને બતાવ્યું પરંતુ કોઈ નક્કર પરિણામ મળ્યું નહોતું.
ખેડૂત પિતાને મળી આયુષ્યમાન કાર્ડની મદદ
નીરવ ચૌધરીના પિતા ગામમાં ખેતીકામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. સ્થાનિક તબીબના કહેવાથી, દર્દીના માતા-પિતા તેને આગળની સારવાર માટે નૂતન જનરલ હોસ્પિટલ વિસનગર ખાતેના ઓર્થોપેડિક વિભાગમાં લઈ ગયા હતા. ત્યાં નિષ્ણાત ડોક્ટર દ્વારા કિશોરની યોગ્ય તપાસ કરી એક્સ-રે જોયા બાદ દર્દીને કાઇફોસ્કોલિયોસિસની વિકૃતિ અને તેના માટે સર્જરીની જરૂરિયાત વિશે સમજાવવામાં આવ્યું હતું અને કોબ્સ એંગલ 2 ડીગ્રી અને AP10 ડીગ્રી લેટરલમાં માપવામાં આવ્યો હતો.
ત્યારબાદ તેનું 17 માર્ચે ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ 17 વર્ષનો કિશોર નીરવ ચૌધરી જટિલ સર્જરી બાદ કોઈ પણ પ્રકારની ગૂંચવણો વિના સાજો થયો છે અને સર્જરીના 2 દિવસમાં જ ચાલવાનું શરૂ કર્યું છે. ડો. જયપ્રકાશ મોદી અને તેમની ટીમ દ્વારા વિસનગરની નૂતન હોસ્પીટલમાં આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સર્જરી કરવામાં આવી હતી.
ખાનગી હોસ્પિટલોમાં આવી સર્જરી માટે 3 લાખ થી 5 લાખ સુધીનો ખર્ચ થતો હોય છે જે અહી તદ્દન મફત કરવામાં આવી છે.દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોએ સારવાર માટે ડોક્ટરની ટીમ તેમજ હોસ્પિટલનો તંત્રનો આભાર માન્યો હતો.