મહેસાણા (Mehsana) માં દૂધસાગર ડેરી (Dudhsagar Dairy)ની સાધારણ સભામાં પ્રવેશ મુદ્દે થયેલી મારામારીનો મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. સહકારી અગ્રણી વિપુલ ચૌધરીએ (Vipul Chaudhary) આ અંગે જિલ્લા પોલીસ વડાને લેખીતમાં રજૂઆત કરી છે. અને આરોપીઓ સામે 307ની કલમ હેઠળ કાર્યવાહી કરવાની માગ કરી છે. વિપુલ ચૌધરીનો આક્ષેપ છે કે ચોક્કસ પુરાવા વિના ફેબ્રિકેટેડ ફરીયાદ થઈ છે.દૂધસાગર ડેરીના CCTV વીડિયો ચેક કરવાની અને ગનનો FSL રીપોર્ટ કરવાની વિપુલ ચૌધરીએ માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે મહેસાણા માં દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા પહેલા હોબાળો થયો હતો. આ સભા પૂર્વે ડેરી સંકુલ બહાર વિપુલ ચૌધરી ના સમર્થકો અને અશોક ચૌધરી ના સમર્થકો વચ્ચે બબાલ થઈ હતી. સાધારણ સભામાં પ્રવેશ મામલે ઘર્ષણ થતાં ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજીભાઈ દેસાઈને ઇજા પહોંચી હતી જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બીજી બાજુ આ ઘર્ષણના પગલે મોઘજી દેસાઈના પુત્રએ ફાયરિંગ કર્યું હતું. સાધારણ સભા પહેલાં મોઘજી દેસાઈ ઉપર હુમલો થતાં સ્વ બચાવમાં હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.
જોકે પાછળથી જાણવા મળ્યું છે કે ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજીભાઈ દેસાઈના પુત્ર દ્વારા હવામાં ફાયરિંગ કરાયું હોવાના કિસ્સામાં એકને ઇજા થઈ છે. ફાયરિંગમાં ડેરીના સિક્યુરીટી ઈન્ચાર્જને ગોળી વાગી હોવાનો દાવો કરાયો છે. ડેરીના સિક્યુરિટી ઇન્ચાર્જ જયંતિભાઈ ચૌધરીને ગોળી વાગતા સારવાર માટે ખસેડાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જયંતીભાઈ ચૌધરીને મહેસાણા સિવિલમાં ખસેડાયા છે. મોઘજી દેસાઈના પુત્રએ કરેલ ફાયરિંગમા ગોળી વાગી હોવાનો ઇજાગ્રસ્તનો દાવો કરાયો છે.
બીજી બાજુ હોબાળા વચ્ચે પણ મહેસાણા દૂધ સાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા શરૂ થઈ ગઇ છે. ઉલ્લેખનીય છે કે મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી દેસાઈ દ્વારા ડેરીના પા નવા વાપડર પ્લાન્ટ મુદ્દે વિરોધ કરાઈ રહ્યો છે. તેમણે ડેરીના હાલના સત્તાધીશો પર આક્ષેપ કર્યા છે કે, હાલમાં ડેરી ખાતે પ્રતિદિન 160 મેટ્રિક ટન ના 4 પાવડર પ્લાન્ટ ઉપલબ્ધ છે. હાલના પ્લાન્ટ ની ઉત્પાદન ક્ષમતા કરતા અડધું વેચાણ થાય છે. છતાં નવો 280 કરોડનો પાવડર પ્લાન શા માટે બનાવવા નિર્ણય લેવાયો. ડેરીની સાધારણ સભા સભામાં પાવડર પ્લાન્ટ બનાવવાનો ઠરાવ રદ્દ કરવા માંગ પણ મોઘજી દેસાઈ કરી છે. ત્યારે આજની સભામાં પણ આ મુદ્દે વાદ-વિવાદ થાય તેવી સંભાવના છે. જોકે આ મુદ્દે ડેરીના હાલના સતાધીશો એ સભા પહેલાં કાઈ કહેવાનો ઈન્કાર કરી સભામાં જ દરેક પ્રશ્નોના જવાબ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.