દેશમાં ઉજવાઇ રહેલા આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રૂપે કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય, રાજ્ય સરકારના રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને સંગ્રહાલય નિયામકના સહયોગથી ગુજરાતમાં(Gujarat) ‘વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ‘(Vadnagar Internatiol Conference) ગાંધીનગરમાં યોજાઇ હતી. આ ‘વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ’ માં ભાગ લેવા આવેલા સાહિત્ય, ઇતિહાસ, પુરાતત્ત્વ, મ્યુઝિયમ જેવાં વિષયો ઉપર કાર્યરત એવા દેશ-વિદેશના નિષ્ણાતો, અભ્યાસુઓ, લેખકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ સહિતના 70 થી વધુ પ્રતિનિધિઓએ, કોન્ફરન્સના અંતિમ દિવસે વડનગરની(Vadnagar) ઉત્સાહપૂર્વક રૂબરૂ મુલાકાત લીધી હતી.
આ પ્રતિનિધિઓએ વડનગરનાં ઐતિહાસિક સ્થળો બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી, કીર્તિ તોરણ અને આંતરરાષ્ટ્રીય કક્ષાનાં નિર્માણાધીન એક્સપેરિયન્સલ મ્યુઝિયમ સાઇટની મુલાકાત લઇ, 2500 વર્ષ જૂની સંસ્કૃતિની ઝીણામાં ઝીણી વિગતો મેળવી હતી. આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા નિર્માણાધીન એક્સપેરિયન્સલ મ્યુઝિયમ સાઇટ ઉપર, વડનગરની અલગ અલગ જગ્યાએથી ખોદકામ દરમિયાન મળેલી વસ્તુઓ અને અવશેષોનાં યોજાયેલાં પ્રદર્શનને પણ, આ પ્રતિનિધિઓએ નિહાળ્યું હતું. આ પ્રતિનિધિઓમાં ગ્રીસ,લંડન, જાપાન, વારાણસી,પશ્ચિમ બંગાળ,છત્તીસગઢ,મહારાષ્ટ્ર સહિતના રાજ્યોની ભારતની વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર્સ,પ્રોફેસરો,અમદાવાદ અને વડોદરાના પ્રોફેસરોનો સમાવેશ થાય છે.
ત્યારબાદ હૉટલ તોરણ ખાતે યોજાયેલા એક સમારોહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, દેશ-વિદેશમાંથી આવેલા સૌ કોઇનું વડનગરની ધરતી ઉપર સ્વાગત છે. અહીંની ઊર્જા આખી દુનિયામાં અનુભવાઇ રહી છે.બૌદ્ધ સાધુઓ અહીં પરિભ્રમણ કરતા હતા.અહીંના પથ્થરો પણ બોલે છે.સરકાર ધરોઇ ડેમ,તારંગા,વડનગર,અંબાજી એમ ટુરિઝમની એક આખી સર્કિટ બનાવી રહી છે.
આ પ્રસંગે મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું હતું કે, હું વડનગર આવું તો અહીંની હવા પણ વાત કરે છે.દુનિયામાં કોઇ એવી જગ્યા નથી જ્યાં 2500 કે 3000 વર્ષથી આત્માઓ, તપસ્વીઓ, સાધુઓ અને માણસોનો વાસ હોય.એ અહીંની ઊર્જા છે. એ ઊર્જાને હું અનુભવી રહ્યો છું. દુનિયા આખા વડનગરને જોવા – જાણવા આવશે,એ પ્રકારે સરકાર કામ કરી રહી છે.
વડનગરની ધરતીમાં જ એવું કંઇક છે કે જગત બદલાયું, શહેરોનાં શહેરો બદલાયાં, વડનગર બદલાયું નથી. 2500 વર્ષ સુધી વડનગરના લોકો પોતાનું ગામ છોડીને કયાંય ગયા નથી. વડનગરનાં સંશોધન પરથી એ પુરવાર થયું છે.
Published On - 6:54 pm, Sat, 21 May 22