ભૂજોડી ખાતે યોજાયેલા સમારોહમાં ભુજ (Bhuj) મતવિસ્તાર માટે 57.30 કરોડના ખર્ચે કુલ 54.90 કિ.મી. લંબાઇના 4 રસ્તાઓનું વિસ્તૃતિકરણ અને રીસર્ફેસીંગ કામોનું ભૂમિપૂજન પણ કરાયું હતું. જે પૈકી 31.50 કરોડ રૂપિયાના ખર્ચે લખપતના દેશલપર હાજીપીર રોડનું વિસ્તૃતિકરણ, 10.80 કરોડ રૂપિયાના ખર્ચે ભુજના કેરા-દહિંસરા-ગઢશીશા રોડના વિસ્તૃતિકરણ, 10 કરોડ રૂપિયાના ખર્ચે ભુજના માનકુવા કોડકી-માનકુવા-મખણા-વટાછડ-નિરોણા 24.50 કિ.મી. રોડના રીસર્ફેસીંગ કામોના ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યા હતા. સાથે ગુજરાત (Gujarat) રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા 6.59 કરોડ રૂપિયાના ખર્ચે સુવિધાયુક્ત નવનિર્મિત સ્ટાફ કોલોનીનું ઈ-લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
ભૂકંપગ્રસ્ત ઝોન-5માં આવેલા કચ્છમાં 1.5 કિ.મી. લાંબો, પથ્થરની ગેબિયન વોલ-પેરામેશ વોલનો અદ્યતન ટેક્નોલોજીયુક્ત ફોરલેન ભૂજોડી રેલવે ઓવરબ્રિજથી સાત લાખ લોકોને લાભ મળશે. આ બ્રિજથી પ્રવાસીઓ અને પ્રજાજનો તેમજ ઉદ્યોગકારોના સમય, ઈંધણનો બચાવ થશે.
કચ્છના તમામ આગેવાનો, જન પ્રતિનિધિઓની અનેકવારની રજુઆત બાદ આજે આ ઓવરબ્રિજ લોકાર્પિત થયો છે. પ્રજાની લાગણી અને માંગણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ પૂર્ણ કરવા સક્રિય છે. વિકાસ પ્રજાનો હક છે તેને પૂર્ણ કરવા સરકાર સક્રિય છે. માર્ગ અને મકાન, વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પ્રજાને સંપૂર્ણ પ્રાથમિક સુવિધાઓ આપવા કટિબધ્ધ બન્યા છે. દરેક નાગરિકને વિકાસનો લાભ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર કામ કરી રહી છે.
કચ્છમાં બે દિવસમાં 515 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસકામોને વેગ આપવામાં આવશે. દેશ દુનિયામાં માસ ટ્રાન્સપોર્ટેશન હોય કે વ્યકિગત આધુનિક ટેકનોલોજીથી ઝડપી અને ઓછા ખર્ચે સામાજિક, આર્થિક રોજગારી અને ધાર્મિક તેમજ પ્રવાસન માટે કનેકટીવીટી મહત્વપૂર્ણ છે. જાહેર કનેકટીવીટી, દરિયાઇ રો-રો કનેકટીવીટી, એસ.ટી. કનેકટીવીટી અને રોડ રસ્તાઓની કનેક્ટીવીટી એમ ચાર કનેકટીવીટી મહત્વપૂર્ણ છે.
વાહન વ્યવહારમાં 8 હજાર જેટલી એસ.ટી બસ દ્વારા દૈનિક 25 લાખ જેટલી સામાન્ય પ્રજાને છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં અવરજવર સરળ બની છે. રાજય સરકાર 1600 કિ.મી. ના દરિયા કિનારામાં આવતા બંદરો અને પર્યટન સ્થળોને વિકાસ અને લાભ દરિયાઇ માર્ગને જોડવાના પ્રયત્નોથી આપશે. કાર્યક્રમ દરમ્યાન ભુજોડી બ્રીજના કામમા થયેલા વિલંબની વાત સ્વીકારી મંત્રીએ રાજયના ચોતરફી માર્ગીય વિકાસ વિસ્તારની વિગતો રજુ કરી જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજયના દરેક જિલ્લામાં રૂ.12,200 કરોડના ખર્ચે નવા માર્ગો બનશે.
સરકારે વિવિધ સર્વે બાદ 500 કરોડ રૂપિયાના ખર્ચે 295 ગામોમાં કોઝવે કામગીરી, અમૃત મહોત્સવ હેઠળ 414 નવા રોડ તેમજ જયાં નદીનાળા અને તળાવો છે ત્યાં વિદ્યાર્થીઓને માર્ગ વ્યવસ્થા માટે રૂ.300 કરોડના ખર્ચે કામગીરી કરવાનુ આયોજન કરાયુ છે. રાજયના અંતરિયાળ અને છેવાડાના ગામો જયાં 108 જેવી પાયાની સુવિધા માટે માર્ગ વ્યવસ્થા અત્યંત જરૂરી છે ત્યાં રૂ.300 કરોડના ખર્ચે કામગીરી કરશે.
Published On - 5:05 pm, Thu, 2 June 22