સ્વચ્છતામાં ભલે સુરત શહેરે બાજી મારી હોય પણ ખાડાઓની બાબતમાં પણ સુરત શહેર પાછળ નથી.આ વર્ષે વરસેલા દેમાર વરસાદે ખુબસુરત સુરતના રસ્તાઓની હાલત બદસુરત કરી દીધી છે.શહેરના ભાગ્યે જ કોઈ રસ્તા એવા બાકી હશે જ્યાં આ સમસ્યા ઉભી ન થઈ હોય. મુખ્ય માર્ગોની હાલત પણ એવી થઈ છે કે લોકોએ રસ્તા પર ખાડા નહિ પણ ખાડામાં રસ્તો શોધવાની ફરજ પડી છે.
ત્યારે આજે આમ આદમી પાર્ટીના યુથ વિંગના કાર્યકરોએ સુરતના રસ્તા પર પડેલા ખાડાઓ માટે મનપાના અધિકારીઓ અને શાસકોનું ધ્યાન દોરવા અનોખો જ કાર્યક્રમ આપ્યો હતો..
સરથાણા જકાતનાકા પાસે છેલ્લા ઘણા સમયથી ખાડાનું સામ્રાજ્ય જોતા આજે આપ પાર્ટીના કાર્યકરોએ આ ખાડામાં વૃક્ષારોપણ કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ખાડામાં માટી પુરીને નાના નાના છોડ આ ખાડામાં રોપવામાં આવ્યા હતા જેને જોઈને રસ્તા પરથી પસાર થતા લોકોમાં પણ હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
કાર્યકરોનું કહેવું છે કે પ્રથમ વરસાદ બાદથી જ શહેરના તમામ માર્ગોની આ જ હાલત છે.લોકોને પોતાના અને પોતાના વાહનનો વીમો લઈને જ ઘરની બહાર નીકળવાની નોબત આવી ગઈ છે ત્યારે શાસકો અને મનપાના અધિકારીઓની આંખ ઉઘડે અને રસ્તા ત્વરીતે રીપેર થાય તે માટે તેમણે આ નાનો પ્રયાસ કર્યો છે.
Published On - 2:32 pm, Sun, 30 August 20