સ્વામિનારાયણ(Swaminarayan)સંપ્રદાયની રાજધાની વડતાલ(Vadtal)ખાતે મહાસુદ પૂનમના રોજ 201માં શાકોત્સવની (Shakotsav) આચાર્ય રાકેશપ્રસાદ મહારાજના આશીર્વાદ અને ચેરમેન દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેનો 25 હજારથી વધુ હરિભક્તોએ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ મંદિરનાં સભામંડપમાં પૂ. હરિગુણદાસજી સ્વામી (ઉમરેઠ)એ ભગવાન શ્રીહરિએ 200 વર્ષ પહેલા લોયામાં સુરાખાચરનાં દરબારમાં ભક્તોની પ્રસન્નાર્થે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરી હતી. જેની શાકોત્સવ લીલાની કથાનું રસપાન કરાવ્યું હતું. શ્રીહરિએ 16 મણ ઘીમાં 60 મણ રીંગણાનું શાક બનાવ્યું હતું.
આ વઘાર ભગવાને જાતે કર્યો હતો. આ ઉત્સવમાં શ્રીહરિએ તૈયાર કરેલ પ્રસાદ નંદસંતો તથા હરિભક્તો ભાવથી જમ્યા હતા. જે પરંપરા આજે પણ સંપ્રદાયમાં ચાલી આવે છે. સંપ્રદાયના નાના-મોટા મંદિરોમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ સંપ્રદાયમાં વડતાલનો શાકોત્સવ મહત્વનો માનવામાં આવ્યો છે. મહાસુદ પૂર્ણિમાનાં દિવસે શાકોત્સવ નિમિત્તે મંદિરમાં બિરાજેલા શ્રીહરિકૃષ્ણ મહારાજ સમક્ષ ચૂલા ઉપર રીંગણનું શાક અને રોટલા બનાવવાની સામગ્રી મુકવામાં આવી હતી. આ દિવ્ય દર્શનનો હરિભક્તોએ લાભ લઈ ર૦૦ વર્ષ પહેલા લોયામાં ઉજવાયેલા શાકોત્સવની અનુભુતી કરી હતી.
આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું ઘોર કરીકાળમાં ભગવાન શ્રીહરિએ પધારી સંપ્રદાયમાં ઉત્સવોની હારમાળા સર્જી છે. ભગવાને જે કર્યુ તે ઔલોકીક થઈ ગયું. શ્રીહરિએ સુરાખાચરનાં ઘરે બે – બે માસ દરમ્યાન શાકોત્સવની ઉજવણી કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉત્સવ એટલે શાકોત્સવ. નાના હરિમંદિરથી લઈ દેશ-વિદેશમાં શાકોત્સવની ઉજવણી થાય છે. ભગવાન શ્રીહરિ શાકોત્સવનાં ઉત્સવ દરમ્યાન કહેવા માંગે છે કે, જેમ અલગ-અલગ મસાલા એકમેકમાં ભળીને શાકોત્સવનો અનેરો સ્વાદ આપે છે તેમ સત્સંગીઓએ એકબીજામાં ભળીને મદદરૂપ થઈ જીવનમાં અનેરો આનંદ પ્રાપ્ત કરીએ. કોઈ પણ હરિભક્તો નાની-મોટી સેવાઓ કરે ત્યારે ભગવાન શ્રીહરિનો રાજીપો અવશ્ય ઉતરે છે. ભગવાનને રાજી કરવા ઉત્સવ જરૂરી છે. ઉત્સવ સેવા કરવાનું સાધન છે.
વડતાલમાં દેવોને ઋતુ પ્રમાણે વિવિધ ફળોના અન્નકૂટ ધરાવવામાં આવે છે. ઉત્સવો નિરંતર વડતાલ ચોકમાં ઉજવાતા રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી.
1. 2000 કિલો ગુલાબી રીંગણનું સ્વાદિષ્ટ શાક
2.1000 કિલો બાજરીના રોટલા
3. 1000 કિલો ચુરમાના લાડુ
4. 100 કિલો ડ્રયફ્રૂટ
5. 2000 કિલો વઘારેલી ખીચડી
6 . 300 કિલો ઘઉંની રોટલી
7 . 200 કિલો આથેલા મરચાં
8. 3000 લીટર તાજી છાશ
9 . 400 કિલો ગોળ
10 .300 કિલો પાપડી
11. 300 કિલો ઘી
12. 100 ડબ્બા તેલ
13. 1000 કિલો વિવિધ મસાલા
14. 1500 કિલો શાકભાજી
જ્યારે 100 ઉપરાંત ગામડાઓના 1 હજારથી વધુ સ્વયં સેવકોએ સેવા કરી હતી. જ્યારે સુરત કલાકુંજ- વડોદરા તથા ચરોતરનાં 500 થી વધુ મહિલા ભક્તોએ રોટલા બનાવવાની સેવા કરી હતી.