ખેડા (Kheda) જિલ્લાના નડિયાદમાં (Nadiad) જિલ્લા ગ્રામવિકાસ એજન્સી દ્વારા મંત્રી જગદીશ વિશ્વકર્માની (Minister Jagdish Vishvakarma) અધ્યક્ષતામાં ઈપ્કોવાલા હોલમાં કેશ ક્રેડીટ કેમ્પ યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત ખેડા જિલ્લાના સ્વસહાય જૂથોની મહિલાઓને તેમણે કરેલી કામગીરી બદલ સહાય કરવામાં આવી. મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા તેમના ઉજ્જવળ ભવિષ્ય અને આત્મનિર્ભર બનવા માટે બેંક ધિરાણરૂપે સહાય આપવામાં આવી હતી.
મંત્રી જગદીશ વિશ્વકર્માએ લાભાર્થીઓ તથા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને જણાવ્યું કે, દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, કારણકે ગરીબ વર્ગને તેમના જીવન ધોરણને ઉપર લાવવાનું આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય છે, તેમણે વધુમાં ઉમેર્યું કે સખી મંડળ દ્વારા લોકોમાં જાગૃતિ આવે તેમજ મહિલાઓ આત્મનિર્ભર બને અને પોતાનું અને પોતાના પરિવારની આજીવિકાનું માધ્યમ બને તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.
જગદીશ વિશ્વકર્માએ ઉપસ્થિત નાગરિકો પાસેથી કેન્દ્ર અને ગુજરાત સરકારની યોજનાઓનો પ્રતિસાદ મેળવ્યો. તેમણે સખી મંડળની બહેનોની કામગીરીને બિરદાવતા કહ્યું કે, સખી મંડળની બહેનો જે ગામડામાં અન્ય બહેનોને જાગૃતિ આપી અન્ય બહેનોને આત્મનિર્ભર કરી રહી છે, સખી બહેનો તેમના સખી મંડળની સાથે તેમના ઘરને પણ ચોક્કસ પીઠબળ આપી રહી છે.
તેમણે બહેનોને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલી યોજનાઓના લાભથી છેવાડાનો માણસ વંચિત ન રહે તે માટે ગામ અથવા સખી મંડળમાં જાગૃતિ લાવવા અનુરોધ કર્યો હતો. સાથે જ રક્ષાબંધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓ થકી તેમનું જીવનધોરણ સુધર્યું, તે માટે પોસ્ટ કાર્ડ દ્વારા રાખડી આપવાનો અનુરોધ કર્યો હતો. સાથે જ તેમણે કેટલીક સખી મંડળની બહેનો સાથે સંવાદ કર્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતુ કે,આ યોજના મુખ્ય ઉદેશ્ય ગરીબ સંગઠનના જૂથોને સંગઠિત કરી બેંક દ્વારા ધિરાણ લઇ પોતાની આજીવિકાથી પોતે આત્મનિર્ભર બને અને ગરીબીરેખાથી બહાર આવે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. ખેડા જિલ્લામાં કુલ 10,316 સખી મંડળો છે આ વર્ષે 245 જેટલા નવા સખી મંડળોની રચના કરવામાં આવી છે, સ્વસહાય જૂથોને રિવોલવિંગ ફંડ પેટે 462 લાખની રકમ આપવામાં આવી છે. જૂથના ગ્રેડ પ્રમાણે 20,000 થી 30,000 પ્રતિ જૂથ ફાળવવવામાં આવે છે, કુલ 102 ગામ સંગઠનોને કોમ્યુનિટી ઈન્વેસ્ટ ફંડ પેટે 511 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે જેની મદદથી સખી મંડળો વ્યવસાય કરી પોતાની આજીવિકામાં વધારો કરે છે.