Kheda: 5 જુલાઇએ રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ‘પ્રાકૃતિક કૃષિ – પ્રકૃતિના શરણે’ પરીસંવાદ યોજાશે
ખેડાના (Kheda) નડિયાદમાં ઇપ્કોવાલા હોલમાં એક હજારથી વધુ પ્રગતિશીલ ખેડૂતો સાથે 'પ્રાકૃતિક કૃષિ - પ્રકૃતિના શરણે' અંગે પરીસંવાદ યોજાશે. જેમાં જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાઠ ભણાવવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) ખેડૂતોની (Farmers) આવક બમણી કરવાના સંકલ્પને સિદ્ધ કરવા ખેડા (Kheda) જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની (Governor Acharya Devvrat) ઉપસ્થિતિમાં 5 જુલાઇ 2022 મંગળવારના રોજ પરિસંવાદ યોજાશે. નડિયાદમાં ઇપ્કોવાલા હોલમાં એક હજારથી વધુ પ્રગતિશીલ ખેડૂતો સાથે ‘પ્રાકૃતિક કૃષિ – પ્રકૃતિના શરણે’ અંગે પરીસંવાદ યોજાશે. જેમાં જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાઠ ભણાવવામાં આવશે.
પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલનું પ્રદર્શન
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા પ્રાકૃતિક કૃષિ અભિયાનને વ્યાપક બનાવવા માટે આ પરીસંવાદ યોજાવાનો છે. ખેડા જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ અપનાવીને આર્થિક રીતે સધ્ધર બને તેવા ઉમદા હેતુથી તથા તેમની પોતાની કૃષિ ઉપજ માટે વેચાણ વ્યવસ્થા અને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુ સાથે પહેલ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદન મેળવતા હોય એવા અંદાજે 15થી વધુ ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ પેદાશોનું સ્ટોલ મારફતે પ્રદર્શન અને વેચાણ કરશે.
ખેડૂતોની આત્મનિર્ભરતામાં સહયોગી બનવા અપીલ
પરીસંવાદમાં ખેડૂતોએ વધારાના કોઈપણ પ્રકારના ઇનપુટ બજારમાંથી ખરીદ્યા સિવાય માત્ર એક જ દેશી ગાયના ગોબર અને ગૌમુત્રથી 30 એકર સુધીની જમીનમાં પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકે, તેના ફાયદા અને ખેતી પદ્ધતિ બાબતે રાજ્યપાલ વિસ્તૃત માર્ગદર્શન આપશે. રાજ્યપાલ ઇપ્કોવાલા હોલ, નડિયાદ ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલની મુલાકાત લઈને ખેડૂતોને આત્મ નિર્ભરતામાં સહયોગી થવા પ્રોત્સાહિત કરશે.
પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પ્રયાસ
સમગ્ર ગુજરાતમાં રાજ્યપાલ ત્રણ વર્ષથી રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે અને તે માટે જિલ્લા વહીવટી તંત્રને પણ દિશાસૂચન કરે છે. હાલ ખેત પેદાશોમાં વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના ઉપયોગના કારણે ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસરો જોવા મળી છે. વિશ્વ સામે જળવાયું પરીવર્તનની મોટી સમસ્યા પેદા થઈ છે. પર્યાવરણ પર વિપરીત પરિસ્થિતિને કારણે જીવસૃષ્ટિ પર તેના ખરાબ પરિણામો જોવા મળ્યા છે. જેના ભાગરૂપે સમગ્ર દેશમાં રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવા મુક્ત ખેતી કરી, ખર્ચમાં ઘટાડો કરી ખેડૂતનું આર્થિક ઉપાર્જન વધે તે માટે પહેલ કરવામાં આવી રહી છે. આ અગાઉ વડાપ્રધાન મોદી દ્વારા અમદાવાદમાં યોજાયેલા પંચાયત મહાસંમેલનમાં 75મા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે રાજ્યના તમામ ગામોમાં 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે બાબતે આહવાન કર્યું હતું.
ખેતી ખર્ચમાં ઘટાડો કરી નફા શક્તિમાં વધારો થાય તે હેતુ
જિલ્લા તંત્ર દ્વારા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે અને ઝીરો બજેટ ખેતી પદ્ધતિ થકી ખેતી ખર્ચમાં ઘટાડો કરી નફા શક્તિમાં વધારો થાય તે હેતુસર તમામ ખેડૂતોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવવે તે માટે ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. સાથે જ શહેરના નાગરિકો ઝેર મુક્ત ખોરાક આરોગી તંદુરસ્ત આરોગ્ય બનાવે તેવા આશયથી “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ” નો લાભ લેવા તેમજ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા સમગ્ર વહીવટી તંત્રએ શહેરીજનોને અને ગ્રામજનોને અનુરોધ કર્યો છે.