#75YearsOfAmul : 200 લીટર દૂધ ભેગું કરવાની શરૂઆતથી આજે Amulનું વાર્ષિક ટર્નઓવર 53000 કરોડને પાર થયું
ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું 36 લાખ ખેડૂત પરિવારોએ Amul ની સાથે જોડાયેલા છે અને સન્માનપૂર્વક પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યાં છે.
ANAND : અમુલના 75 વર્ષ પૂર્ણ થતા આ પ્રસંગે યોજાયેલા અમૃત મહોત્સવમાં ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah)એ કહ્યું કે આજે સરદાર સાહેબની જન્મજયંતી છે અને અમુલનો અમૃત મહોત્સવ પણ છે. તેમણે કહ્યું કે સરદાર પટેલ (Sardar Patel) નો અમુલ સાથે ગાઢ સંબંધ રહ્યો છે. ખાનગી ડેરીના અન્યાય સામે ખેડૂતોના સંઘર્ષને સરદાર પટેલની પ્રેરણા અને કર્મઠ સહકારી નેતા ત્રિભોવનદાસ પટેલે ખુબ સારી રીતે આને સકારાત્મક વિચારની દિશામાં વાળવાનું કામ કર્યું. આ ઉદાહરણ ન માત્ર સહકાર ક્ષેત્ર માટે અનોખું ઉદાહરણ છે, પરંતુ સામાજિક જીવનમાં લોકોના પ્રશ્નોને વાચા આપવા આપવા માટે આંદોલન કરી રહેલા સમાજ સેવકો માટે પણ ખુબ મોટું ઉદાહરણ છે.
તેમણે કહ્યું કે જે આંદોલનો થયા છે એ સમસ્યાના સમાધાન માટે કરવામાં આવે છે, નહી કે સમસ્યામાં વધારો કરવા માટે. આણંદ અને ખેડા જિલ્લામાં ખેડૂતોનું શોષણ થઇ રહ્યું હતું તેના વિરુદ્ધ આંદોલન કર્યું, અસહકારનું આંદોલન કર્યું.અને આ આંદોલનને એ પ્રકારે પરિવર્તિત કરવામાં આવ્યું કે એમાં જે બીજ વાવવામાં આવ્યું હતું, તે આજે વટવૃક્ષ બનીને 36 લાખ લોકોની રોજગારીનું મુખ્ય સાધન બન્યું છે.
તેમણે કહ્યું આંદોલનથી શોષણ તો રોકાયું જ, પણ સાથે એક રચનાત્મક અભિગમ લઈને આંદોલનને વાળવાની જે કુનેહ સરદાર સાહેબ અને વિશેષ રીતે ત્રિભોવનદાસ પટેલમાં હતી, તેના કારણે આજે આ વટવૃક્ષ આપણી સામે છે. તેમણે કહ્યું કે આજે નાના ગામમાં એક ગાય રાખીને પણ અમુલમાં દૂધ આપનારી મહિલાએ પુરુષાર્થની પરાકાષ્ઠા છે અને 75 વર્ષમાં સમગ્ર વિશ્વમાં અમુલની બ્રાંડ બનાવી છે, એને હું પ્રમાણ કરું છું.
ગૃહપ્રધાન શાહે કહ્યું કે આ એક એવું ઉદાહરણ છે કે નાના નાના લોકો ભેગા થઈને પોતાની ક્ષમતાને વધારે છે જે સૌથી મોટી તાકાતનો પાયો હતી. અને આ જ સહકારનો મૂળ મંત્ર છે. આપણે નાના હોઈ શકીએ છીએ, પણ સંખ્યામાં વધારે હોઈએ છીએ. જો નાના લોકોની મોટી સંખ્યા એકજૂથ થઇ જાય અને એક દિશામાં ચાલે તો મોટામાં મોટી તાકાતનું નિર્માણ થાય છે. આને જ સહકારિતાનો વિચાર કહેવામાં આવે છે. આને આજે અમુલના આંદોલને આ કરીને બતાવ્યું છે.
ગૃહપ્રધાન શાહે કહ્યું કે રોજ 200 લીટર દૂધ ભેગું કરવાથી શરૂઆત થઇ હતી અને આજે અમુલનું વાર્ષિક ટર્નઓવર 53000 કરોડને પાર કરી ગયું છે. દરરોજ 30 મિલિયન લીટર દૂધનું પ્રોસેસિંગ અને સ્ટોરેજ કરવાની ક્ષમતા અમુલે વિકસિત કરી છે. 36 લાખ ખેડૂત પરિવારોએ આને પોતાનો વ્યવસાય બનાવીને આની સાથે જોડાયેલા છે અને સન્માનપૂર્વક પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યાં છે. વિવિધ ગામોની 18600 થી વધારે દૂધ ઉત્પાદક મંડળીઓ આજે આ કામમાં વ્યસ્ત છે અને અમુલને એક વટવૃક્ષ બનાવવામાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. જીલ્લાસ્તરની 18 ડેરીઓ છે અને આ સાથે દેશભરમાં અલગ અલગ સ્થળે 87 મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ છે.