ગુજરાતમાં લમ્પી વાયરસનો (Lumpy virus) કેર યથાવત છે. અત્યાર સુધીમા 23 જિલ્લામાં લમ્પી વાયરસ પહોંચી ચુક્યો છે.રાજ્યમાં એક દિવસમાં લમ્પીના નવા 2517 કેસ નોંધાયા છે જ્યારે એક દિવસમાં કુલ 149 પશુઓના લમ્પીના કારણે મોત થયા છે. વધુ 149 પશુઓ લમ્પી સામે જંગ હારી જતાં કુલ મોતનો આંકડો વધીને 2782 પર પહોંચી ગયો છે. એક દિવસમાં સૌથી વધુ કચ્છમાં (Kutch) 67 પશુના મોત નોંધાયા હતા. જ્યારે ભાવનગરમાં (Bhavnagar) 20 અને રાજકોટમાં (Rajkot) 19 પશુના મોત થયા છે. તો એક દિવસમાં બનાસકાંઠામાં 1076 પશુ લમ્પીથી અસરગ્રસ્ત થયા હતા.
રાજ્યમાં લમ્પી વાયરસનો વ્યાપ સતત વકરી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતમાં કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ ખતરનાક વાયરસથી પશુધનને બચાવવા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર માટે આયુર્વેદિક ઔષધીઓનો ઉપયોગ વધુ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે.કચ્છમાં આઇસોલેશન સેન્ટરમાં આયુર્વેદિક ઉકાળા અને અન્ય લેપ દ્વારા લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર કરવામાં આવી રહી છે.ચેપગ્રસ્ત પશુઓ પર ફટકડી અને લીમડાના રસાયણનો છંટકાવ કરવામાં આવે છે અને આયુર્વેદિક પદ્ધિત અપનાવીને અમૂલ્ય પશુધનને બચાવવાની કવાયત હાથ ધરી છે. લમ્પી વાયરસનું સંક્રમણ રોકવા બનતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
જે પશુપાલકોએ વર્ષોથી ગાય માતાની સેવા કરી અને ગાયમાતા આજે આંખો સામે મરી રહી છે અને પશુપાલકો લાચાર આંખે ગૌવંશને મરતા જોઈ રહ્યા છે… લાચારી એ હદે છેકે દૂધનું ઉત્પાદન પણ ઘટ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની ડેરીઓમાં લમ્પીના કારણે દૂધ ઉત્પાદનની કેવી ઘટ છે તેના પર નજર કરીએ તો મોરબી સહકારી ડેરીમાં એક મહિનામાં 27 ટકાનો ઘટાડો નોંધાયો છે જ્યારે કચ્છની ડેરીમાં 8થી 10 ટકાનો ઘટાડો નોંધાયો છે.
જોકે મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતની ડેરીઓમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. તો લમ્પી મુદ્દે રાજ્યનું રાજકારણ પણ ગરમાયુ છે. વિરોધપક્ષે તંત્ર પર મોડે જાગ્યા હોવાનો આરોપ લગાવ્યો તો સરકારે બચાવમાં રસીકરણને મહત્વ આપવાની વાત કહી. જોકે રસીકરણ અભિયાન પણ પૂર ઝડપે ચાલી રહ્યું છે. પશુપાલકોને જાગૃત કરવા માટે અધિકારીઓ પર પ્રયાસ કરી રહ્યા છે.