જૂનાગઢમાં (Junagadh)ના માંગરોળના વાડલા ગામે ભારે વરસાદથી (Heavy Rain) 10 દિવસથી ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે. ખેતરોમાં સતત પાણી ભરાયેલા (Water Logging) રહેતા મગફળી, સોયાબીન, કપાસનો પાક નિષ્ફળ ગયો છે. વાડલા ગામના જ 60થી 70 ખેડૂતો પાક ધોવાઈ જતા તારાજ થયા છે. ત્યારે રાજ્ય સરકાર ઝડપથી સરવે કરીને સહાય ચુકવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે. ઘેડ પંથકના સંખ્યાબંધ ગામના ખેતરોમાં ભરાયેલા પાણી ખેડૂતો માટે આફત બની ગયા છે આ લીલા દુષ્કાળને (Green drought) પગલે પશુધનને ખવડાવવા માટેના ઘાસચારાના પણ ફાંફા મારવા પડી રહ્યાં છે.
દર વર્ષની જેમ આ ચોમાસાએ પણ જુનાગઢના કેશોદનો ઘેડ (Ghed) પંથક જળબંબાકાર થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે. જેના કારણે ખેડૂતો પાકમાં નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખાસ કરીને મગફળીના પાકને પણ ભારે નુકસાન જવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
આ વર્ષે ચોમાસાનો (Monsoon 2022) સારો એવો વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના માંગરોળના ખેડૂતો વરસાદને (Rain) કારણે તો ખુશ તો થયા છે, પરંતુ તંત્રની બેદરકારીને કારણે તેમનો સંપૂર્ણ પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાનો ખેડૂતો (Farmers) આક્ષેપ કરી રહ્યા છે. આ મુશ્કેલીની રજૂઆતો કર્યા પછી પણ તેનો કોઈ ઉકેલ નથી. ચંદવાણા ગામથી દરસાલીના નવનિર્મિત રસ્તામાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખેતરોમાં પાણી ભરાયા હોવાનું ખેડૂતોનું કહેવું છે. આમ તો ચાર ફૂટ જેટલો રસ્તો ઉંચો બનાવવામાં આવ્યો છે. પરંતુ પાણીના નિકાલ માટે પાઈપલાઈન જ નાખવામાં નહીં આવતા ખેડૂતોની 100 વીઘા જમીન પાણીમાં ડૂબી ગઈ છે.
જૂનાગઢના માંગરોળના છેલ્લા 15 દિવસથી ખેડૂતોના મગફળી, સોયાબીન, કેળના પાક પાણીમાં ગરકાવ થયા છે. પીડબ્લ્યૂડી અધિકારી અને મામલતદારને ખેડૂતોએ લેખિત અને મૌખિક બંને રજૂઆત કરી છે. છતાં તંત્રના પેટનું પાણી હલતુ નથી. પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવે તેવી પણ માગ ખેડૂતોએ તંત્ર પાસે કરી હતી, પરંતુ હાલત જૈસે થે. કૂવામાં પાણી ન હોવાથી ચંદવાણા ગામના ખેડૂતો વર્ષમાં એક જ વાર પાક લેતા હોય છે. તેમાં પણ તંત્રની બેદરકારીના કારણે હાલ ખેડૂતોનો મહામુલો પાક પાણીમાં વહી ગયો છે.