મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ અને ધ્રોલમાં વિકાસ કાર્યો માટેના 27 કરોડના કામોને આપી સૈદ્ધાંતિક મંજૂરી
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જૂનાગઢ મહાનગરને આંતર માળખાકીય વિકાસ કામો માટે 23.88 કરોડ અને ધ્રોલ નગરપાલિકાને કામો માટે 3.43 કરોડની મંજૂરી આપવામાં આવી છે. પરિણામે જૂનાગઢ મહાનગરપાલિકાને 2021-22ના વર્ષ માટેના આંતરમાળખાકીય વિકાસના બાવન કામો માટે 23.88 કરોડ ફાળવવામાં આવશે.
Junagadh: સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જૂનાગઢ મહાનગરને આંતર માળખાકીય વિકાસ કામો માટે 23.88 કરોડ અને ધ્રોલ નગરપાલિકાને (Dhrol Municipality) કામો માટે 3.43 કરોડની મંજૂરી આપવામાં આવી છે. પરિણામે જૂનાગઢ મહાનગરપાલિકાને 2021-22ના વર્ષ માટેના આંતરમાળખાકીય વિકાસના બાવન કામો માટે 23.88 કરોડ ફાળવવામાં આવશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ કામોમાં જૂનાગઢ શહેરમાં માર્ગોના 27 કામો માટે રૂ. 9,23,73,757, ગટરના કામ માટે ૧પ લાખ રૂપિયા, પાણી પૂરવઠાના કામો માટે 2 કરોડ 28 લાખ રૂપિયા, સ્ટ્રીટલાઇટના કામો હાથ ધરવા 2 કરોડ 26 લાખ, બ્રીજના કામો માટે 2 કરોડ 19 લાખ 52 હજાર, તેમજ અન્ય ભૌતિક આંતરમાળખાકીય વિકાસ કામો માટે 7 કરોડ 76 લાખ 7 હજાર 681 મંજૂર કરવામાં આવ્યા છે.
ઉપરાંત જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકામાં શહેરી વિકાસ યોજના અન્વયે આગવી ઓળખના કામો માટે 3.43 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ધ્રોલના કમલા નહેરૂ પાર્કમાં એમ્યુઝમેન્ટ પાર્ક બિલ્ડીંગના ગાર્ડન ડેવલપ કરાશે, પાર્કમાં ટોયલેટ બ્લોક નિર્માણ કરવામાં આવશે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આંતરમાળખાકીય સુવિધા વિકાસ કામો, આગવી ઓળખના કામો, ખાનગી સોસાયટી જનભાગીદારી કામો, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને શહેરી બસ પરિવહન સુવિધા વગેરે માટે રાજ્ય સરકાર મહાનગર પાલિકાઓ- નગરપાલિકાઓને નાણાં ફાળવતી હોય છે. મહત્વનું છે કે, ભૌતિક આંતરમાળખાકીય સુવિધા વિકાસ કામો માટે 2022-23ના વર્ષમાં અમદાવાદને 710 કરોડ, સુરતને 580 કરોડ, વડોદરાને 218 કરોડ, રાજકોટને 172 કરોડ, ભાવનગરને 80 કરોડ, જામનગરને 76 કરોડ, જૂનાગઢને 40 કરોડ અને ગાંધીનગરને 41 કરોડ GMFB દ્વારા ફાળવાશે.