Jamnagar: કોરોનાકાળ બાદ બે વર્ષે થશે લોકમેળાનું આયોજન, શરૂ થઈ તડામાર તૈયારીઓ
કોરોના કાળને (Corona Pandemic) લઈને બે વર્ષ સુધી મેળા સહિતના આયોજનો પર બ્રેક લાગી હતી, જેમાંથી આ વખતે મુક્તિ મળી છે, અને મહાનગરપાલિકા દ્વારા પણ લોકો ભરપૂર મનોરંજન માણી શકે, તે માટે શ્રાવણી મેળાના દિવસોમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation) દ્વારા આગામી સાતમ આઠમ સહિતના તહેવારો દરમિયાન શ્રાવણી મેળાઓનું પ્રદર્શન મેદાનમાં આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંગેની મેળાના આયોજકો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાથોસાથ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગોની ટીમ પણ મેળાના સુચારૂ સંચાલન માટે અલગ અલગ વ્યવસ્થાઓ ગોઠવવામાં વ્યસ્ત બની છે, અને આયોજકો દ્વારા મેળો યોજવા માટેની રાઇડ, ફૂડ સ્ટોલ, રમકડા સ્ટોલ વગેરે ઉભા કરવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે.
બે વર્ષ બાદ થઈ રહ્યુ છે આયોજન
કોરોના કાળને લઈને બે વર્ષ સુધી મેળા સહિતના આયોજનો પર બ્રેક લાગી હતી, જેમાંથી આ વખતે મુક્તિ મળી છે, અને મહાનગરપાલિકા દ્વારા પણ લોકો ભરપૂર મનોરંજન માણી શકે, તે માટે શ્રાવણી મેળાના દિવસોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેથી જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો મન મૂકીને મેળાનો આનંદ લઈ શકે.
જેના માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીના માર્ગદર્શન હેઠળ સીટી ઇજનેર ભાવેશ જાની, કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, એસ્ટેટ શાખાના અધિકારી તેમજ જુદા જુદા વિભાગ ની ટીમ દ્વારા શ્રાવણી મેળાનું સુચારુ સંચાલન થાય, તે માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા પણ બે વર્ષના કોરોના કાળ પછી લોકોને સારું મનોરંજન મળી રહે તે માટે ઉત્સાહિત બન્યા છે, અને મેળા ના આયોજકો સાથે મીટીંગોનો દોર યોજીને તેમજ સ્થળ પર મુલાકાત લઈને મહાનગરપાલિકા તરફથી તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે મેળાના સંચાલકો સાથે ચર્ચા વિચારણા કરી હતી. જામનગર મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ અને મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સહિતના અન્ય પદાધિકારીઓ દ્વારા શ્રાવણી મેળાના આયોજન માટે અને લોકોને વધુને વધુ મનોરંજન મળતું રહે તે માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ઉપરાંત જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પ્રદર્શન મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવા માટેનો નિર્ણય કરી લેવામાં આવ્યો છે.
મેળાની સાથે રંગારંગ કાર્યક્રમોનું આયોજન
જેથી જન્માષ્ટમીના તહેવારના દિવસે લોકોને મેળાની રંગતની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ આનંદ મળી શકશે. આ ઉપરાંત રાત્રિના 12.00 વાગ્યાના ટકોરે મટકી ફોડ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી પ્રદર્શન મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણાનો ઉત્સવ પણ નગરજનો માણી શકશે, અને તેમાં સહભાગી બની શકશે.
પ્રદર્શન મેદાનમાં આ વખતે રાજસ્થાનના અજમેરથી તેમજ મધ્યપ્રદેશથી નાની મોટી રાઇડ જામનગર આવી પહોંચી છે, અને શ્રાવણી મેળામાં લોકોને ખૂબ જ સારૂં મનોરંજન મળી રહે, તે માટે આયોજકો દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.