જામનગર(Jamnagar)તાલુકાના બેડ ગામે રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલ(Raghavji Patel) દ્વારા બેડ બંધારા અને સસોઈ નદીની વચ્ચે આવેલા ચેકડેમનું(Checkdam) ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ હનુમાન મંદિર પાસે આવેલ પાણીના ટાંકાથી વાકોલ માતાજીના મંદિર સુધી પાણીની પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. રબારી સમાજના આસ્થાના કેન્દ્ર એવા વાકોલ માતાજીના મંદિરે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય પાણીની સુવિધા ઉપલબ્ધ થવાથી તેમની સુવિધામાં ઉમેરો થશે.
કૃષિમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આગામી ચોમાસા પહેલા ખાતમુહર્ત કરાયેલા આ ૨૦ મીટર લંબાઈ ધરાવતા ચેકડેમનું કાર્ય પૂર્ણ થઈ જવાથી પાણીનો સંગ્રહ થશે જેનાથી ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની મદદ મળી રહેશે તેમજ વાકોલ માતાજીનાં મંદિરે આવતા શ્રદ્ધાળુઓને પાણીની સુવિધા મળી રહેવાથી આસ્થાના કેન્દ્રની સાથે સાથે મંદિર પર્યટન સ્થળ તરીકે પણ વિકસશે. જી.એસ.એફ.સી.નાં સહયોગથી પાણીની પાઇપલાઇન માટે 10 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. આ ઉપસ્થિત ખેડૂતોને સંબોધન કરતા મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી અને ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.
જેનાથી જામનગર જિલ્લાના ખેડૂતો આર્થિક રીતે પગભર થયા છે. સાથે સાથે અનેક કૃષિલક્ષી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. આ કાર્યક્રમમાં બેડ તથા આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમસ્ત સમાજના આગેવાનો દ્વારા કૃષિમંત્રી રાઘવજી પટેલનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો .આ પ્રસંગે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશી ચનીયારા, બેડ ગામના સરપંચ કેશુભા જાડેજા, સાપર ગામના સરપંચ બળૂભા જાડેજા, સિંચાઇ સમિતિના ચેરમેન વિનોદ , સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર ખાંટ સહિતના અધિકારીઓ તેમજ સમસ્ત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(With Input, Divyesh Vayda, Jamnagar)